લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ શરૂ થવાનું છે. મહારાષ્ટ્ર સરકારે 1 જૂનથી ફિલ્મોની શૂટિંગ શરૂ કરવાની શરતી મંજૂરી આપી દીધી છે. ત્યારે સીરિયલમાં બબીતા અય્યરની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે જાણકારી આપી છે.
બબીતાજી એટલે કે, મુનમુન દત્તાએ જણાવ્યું કે, શૂટિંગ ક્યારે શરૂ થશે તે અંગે અમે ખરેખર નિર્ણય કરી શક્યા નથી, પરંતુ અમારા નિર્માતાએ સાવચેતીના તમામ પગલાં લીધા પછી તેને શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તે એક પ્રશંસનીય અને સાહસી નિર્ણય છે. હમણાં બધું આયોજનના તબક્કે છે. દરેક વ્યક્તિએ પોતાના ફાયદા અને નુકસાન અંગે વિચારીને યોજના બનાવવી પડશે અને ત્યારબાદ કામ શરૂ કરવું પડશે.
મુનમુનએ કહ્યું કે, તે ફરી કામ શરૂ કરવા માટે ઉત્સુક છે. COVID-19 વિશે જુદા જુદા લોકોના મત જુદા હોય છે, પરંતુ હું નિશ્ચિતપણે મારું કામ ફરી શરૂ કરવા માંગુ છું અને ફરીથી સામાન્ય જીવન શરૂ કરવા માંગું છું. આપણે બધાંએ ઘરે રહીને યોગદાન આપી દીધો છે.
હમેશા માટે લોકડાઉનમાં ન રહી શકે લોકો
મુનમુન દત્તાએ આગળ કહ્યું કે, આપણે વાયરસ સાથે જીવતા શીખવું પડશે. વર્તમાન સ્થિતિ એવી છે કે, જ્યાં સુધી વેક્સીન ન આવી જાય ત્યાં સુધી વાયરસ સાથે જ જીવવું પડશે. આપણે અન્ય ઘણાં ઘાતક વાયરલ અને બેક્ટેરિયા સાથે રહીએ છીએ. આ એક સારી વાત છે કે લોકડાઉન તબક્કાવાર ખોલવામાં આવી રહ્યું છે. જેથી તમામ સાવધાનીઓ સાથે કામ શરૂ કરવામાં મને ખુશી થશે.
રિપોર્ટ મુજબ સૌથી પહેલાં શોના પ્રોડ્યૂસર્સ અસિત મોદીએ શોના કલાકારો સાથે વીડિયો કોલ કરીને શૂટિંગ શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે સંપૂર્ણ સાવધાની સાથે શૂટિંગ શરૂ કરીશું. તારક મહેતા એક હિટ શો છે અને તે એક સ્તંભ પર આધારિત છે. જે ગુજરાતી સાપ્તાહિક સામયિક ચિત્રલેખામાં પત્રકાર અને લેખક તારક મહેતા દ્વારા લખાયેલું છે.