બ્લાસ્ટમાં મૃતક યુવકના નાના ભાઈએ પોલીસ દબાણથી આપઘાત કર્યો હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે.
અરવલ્લીમાં ગ્રેનેડ બ્લાસ્ટ મામલે ચોંકાવનારો વળાંક
મૃતક યુવકના નાના ભાઈએ કર્યો આપઘાત
પરિવારજનોનો પોલીસ પર આરોપ
અરવલ્લીમાં થયેલો ભેદી બ્લાસ્ટ તપાસમાં ગ્રેનેડથી થયો હોવાનું ખૂલ્યું હતું જે બાદ પોલીસ પરિવાર સહિત શંકાના દાયરામ આવેલા તમામ લોકોની સધન તપાસ હાથ ધરી હતી. પણ હવે અરવલ્લીમાં ગ્રેનેડ બ્લાસ્ટ મામલે ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. બ્લાસ્ટમાં મૃતક યુવકના નાના ભાઈ કાંતિ ફણેજાએ ગોઢફુલ્લા ગામે ઝાડ પર ગળેફાંસો ખાઇ આપઘાત કરતાં ચકચાર મચી છે. પોલીસ દ્વારા સતત દબાણથી આપઘાત કર્યાનો પરિવારનો આક્ષેપ કરી રહ્યો છે. મહત્વનું છે કે 28 ઓગસ્ટ બ્લાસ્ટમાં અગાઉ બે લોકોના મોત થયા છે ત્યારે નાનાભાઇએ આપઘાત કરતા પોલીસ પર પરિવાર દ્વારા મોટા આરોપો લગાવાઈ રહ્યા છે. ગ્રેનેડ બ્લાસ્ટની ગંભીર નોંધ લેતા પોલીસ તપાસનો ધમધમાટ ચાલુ કર્યા બાદ મૃતકના નાના ભાઈ દ્વારા ભરાયેલૂ આ પગલું પોલીસ દબાણથી કંટાળીને ભરાયું હોય તેવી ગ્રામજનોમાં વાત વહેતી થઈ છે. હજુ સુધી આપઘાત અંગે કોઈ સુસાઇડ નોટ કે અન્ય કોઈ બીજી વસ્તુ મળી નથી જેથી મૃતકના નાના ભાઈએ આપઘાત કેમ કર્યો તેના પરથી પરદો ઊઠવો મુશ્કેલ છે.
યુવકને પૂછપરછ કરી પરત મુકી આવ્યા હતા : પોલીસ
યુવકના આપઘાત મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે, DySP દ્વારા ખુલાસો કરતાં કહેવામાં આવ્યું છે કે યુવકને પોલીસની કારમાં લાવી પૂછપરછ કરી પરત મુકી આવ્યા હતા,
યુવકને ખોટી રીતે હેરાન નથી કરાયો, યુવકના મૃતદેહને પીએમઅર્થે મોકલવામાં આવ્યો છે, પીએમ રિપોર્ટમાં જે તથ્યો હશે તે બહાર આવશે.
ગ્રેનેડ બ્લાસ્ટની ગંભીર નોંધ લેવાઈ : પોલીસ વડા સંજય ખરાત
શામળાજી પાસે ગ્રેનેડ બ્લાસ્ટની ગંભીર નોંધ લેતા પોલીસ વડા સંજય ખરાતે કહ્યું હતું કે ત્રણ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે, આ વિસ્તારમાં ગ્રેનેડ ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ થઈ રહી છે. મૃતક યુવાનના મિત્રો પેરામિલિટ્રીમાં પણ છે તે દિશામાં પણ તપાસ ચાલુ કરી દેવાઈ છે. ATSની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે. ત્યારે આગળના સમયમાં મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં.
હેન્ડ ગ્રેનેડની પીન સાથે રમત કરતાં થયો બ્લાસ્ટ
અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટને લઈને મોટો ખુલાસો થયો છે. તપાસમાં હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ થયો હોવાનું ખુલતા ચકચાર વ્યાપી હતી. ફોરેન્સીક તપાસમાં હેન્ડ ગ્રેનેડના પુરાવા મળ્યા છે. જેમાં સાંણસી વડે ગ્રેનેડની પીન કાઢતા મોટો બ્લાસ્ટ થયો હતો જેમાં યુવકનું કમકમાટી ભર્યું મોત તો મહિલા અને બે બાળકી ગંભીર રીતે ઘાયલ થાય હતા. તપાસમાં સામે આવ્યું છે કે 6 મહિના પહેલા મૃતક અને અન્ય યુવકને ળાવમાંથી મળી ગ્રેનેડ આવ્યો હતો. જે 6 મહિનાથી બાળકો વચ્ચે ઘરમાં મૂકી રાખ્યો હતો તે ઉપરાંત મૃતક યુવાને ગ્રેનેડ અને રાઇફલ સાથે ફોટો પડાવ્યા હતા. કમરના ભાગે યુવાને હેન્ડ ગ્રેનેડ બાંધી ફોટોગ્રાફી કરાવી હતી . ત્યારે હવે મોટો સવાલ એ છે કે તળાવમાં ગ્રેનેડ આવ્યો ક્યાંથી? પોલીસે મૃતક અને અન્ય યુવક એક સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
28 ઓગસ્ટેના રોજ શું થયું હતું
શામળાજીના ગોઢકુલ્લા ગામે રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટનો મામલે ઈન્ચાર્જ SP બી.બી.બસિયા, LCB, SOGની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, યુવાનના મોત બાદ લોકોના ટોળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બ્લાસ્ટમાં 1 યુવકનું મોત જ્યારે મહિલા ઘવાઈ હતી, તો બે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી જે બાદ પ્રાથમિક સારવાર માટે તેમને શામલાજીની હોસ્પિટલમાં રીફર કરાઇ હતી, પણ ત્યાં બાળકીઓની તબિયત વધુ લથડતા બંને બાળકીઓને અમદાવાદ રિફર કરવામાં આવી હતી.