દિલ્હીના ચકચારી અંજલિ અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં કાર સવાર તમામ આરોપીઓએ દારૂનો નશો કર્યો હોવાનું FSL રિપોર્ટમાં બહાર આવ્યું છે.
દિલ્હીના ચકચારી કંઝાવલા કેસ મામલે મોટા અપડેટ
કાર સવાર તમામ આરોપીઓએ દારૂનો નશો કર્યોનો ધડાકો
FSL રિપોર્ટમાં બહાર આવ્યું
દિલ્હીના ચકચારી કંઝાવલા મર્ડર કેસમાં મોટો ધડાકો થયો છે. જેમાં અકસ્માત સમયે આરોપીઓ નશામાં ધૂત હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSL દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અકસ્માત સમયે તમામ આરોપીઓ નશામાં ધૂત હતા. કાર સવાર આરોપીઓએ દારૂનો નશો કર્યો હોવાનો FSL રોહિણીએ રિપોર્ટ દિલ્હી પોલીસને સોંપ્યો છે.મહત્વનું છે કે આ ઘટના સમયે કારમાં 4 આરોપીઓ સવાર હતા.
11 પોલીસ કર્મીઓ કરાયા સસ્પેન્ડ
દિલ્હીના બહુ ચર્ચિત કંઝાવલા મર્ડર કેસમાં સીધી ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ સામે મોટી કાર્યવાહી કરી છે. મંત્રાલય તરફથી દિલ્હી પોલીસને ત્રણ ખાસ નિર્દેશ અપાયા છે. ગૃ઼હ મંત્રાલયે દિલ્હી પોલીસને ઘટના સમયે તૈનાત પીસીઆર વાનમાં હાજર પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. રોહિણી પીસીઆર વાનમાં તૈનાત 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.સાથે ડીસીપી પાસે જવાબ પણ માંગવામાં આવ્યો છે.
12 કિલોમીટર સુધી રસ્તા પર ધસડાઈ હતી યુવતી
આ ઘટનામાં વધુ એક ખુલાસો થયો હતો જેમાં આરોપી મૃતક યુવતીને સુલતાનપુરીથી કાંઝાવાલા સુધી લગભગ 12 કિલોમીટર સુધી રસ્તા પર ઢસડી ગયો હતો. છતાં જોઈએ તેણીને બહાર કાઢી બચાવવાની તસ્દી લીધી ન હતી. જેને પગલે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં સંડોવાયેલ સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આરોપીએ દારૂનો નશો કર્યો હોવાનું સામે આવ્યું છે.
શુ હતી સમગ્ર ઘટના ?
1લી જાન્યુઆરીની રાત્રે 20 વર્ષની અંજલિની સ્કૂટીને કારે જોરદાર ટક્કર મારી હતી. જે બાદ તેની સ્કૂટી કારમાં જ ફસાઈ ગઈ હતી. ત્યારબાદ અંજલીનું નિધન 1 જાન્યુઆરીએ દિલ્હીના કાંઝાવાલામાં થયું હતું. દિલ્હીની સડકો પર તેમનો મૃતદેહ 12 કિમી સુધી ઘસડાયો હતો, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, આ બધું એ રાત્રે થયું જ્યારે આખો દેશ નવા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા મજબૂત સુરક્ષાના દાવા વચ્ચે અંજલિનું રસ્તા પર જ મોત નીપજ્યું હતું. 1 જાન્યુઆરીની સવારે કંઝાવલામાં એક રાહદારીએ કારના પાછળના ભાગમાં લાશ જોઇ હતી. દીપકે કહ્યું હતું કે તે રાતે 3-15 વાગ્યે દૂધની ડિલિવરીની રાહ જોઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે એક કાર આવી રહી છે. પાછળના પૈડામાંથી જોરદાર અવાજ આવી રહ્યો હતો. આ પછી તેણે કારની પાછળ લાશ લટકતી હોવાની જાણ પોલીસને કરી હતી. દીપકે કહ્યું હતું કે તે સવારે 5 વાગ્યા સુધી પોલીસના સંપર્કમાં હતો, ઘટના સ્થળે કોઈ આવ્યું ન હતું. તેણે બેગમપુર સુધી કારનો પીછો કર્યો. આરોપ છે કે પીસીઆર વાનમાં હાજર પોલીસે કોઈ જવાબ આપ્યો ન હતો અને આ કેસમાં કોઈ રસ દાખવ્યો ન હતો. દીપકનો દાવો છે કે જ્યાં સુધી લાશ ફસાઇ ન જાય ત્યાં સુધી કાર ફરતી રહી. લાશ પડ્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.