ગત મે મહિનામાં વસો પીજ રોડ પર આવેલી એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
4 મહિના પહેલા ગળેફાંસો ખાઈની યુવતીએ ટૂંકાવ્યું હતું જીવન
યુવક વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પડાવતો હતો રૂપિયા
પોલીસે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી
ખેડા જિલ્લાના વસો પંથકમાં આવેલી એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતીએ 4 મહિના અગાઉ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. આ પ્રકરણમાં ચોકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. સમગ્ર મામલે આજે મૃતક યુવતીના પિતાએ એક યુવક સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. આ યુવાન મૃતક યુવતી પાસે રૂપિયાની માંગણી કરતો અને નાણા ન આપે તો બંન્નેના અંગત સંબંધના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાનો ખુલાસો થયો છે.
11 મેના રોજ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું હતું જીવન
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની 21 વર્ષીય યુવતી ખેડા જિલ્લાના વસો પીજ રોડ પર આવેલ કૃષિ યુનિવર્સિટીમા અભ્યાસ કરતી હતી. ગત 11 મેના રોજ સાંજે તેણીએ કોઈ કારણોસર પોતાની હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ વસો પોલીસને કરવામાં આવતા વસો પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી હતી. પોલીસે આ યુવતીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તે દિશામા તપાસ હાથ ધરી હતી અને મૃતક યુવતીના સેલફોન અને લેપટોપ બન્ને કબ્જે કરી તપાસણી અર્થે એફએસએલમા મોકલ્યા હતા.
યુવકની ધરપકડ કરી તપાસ શરૂ
ત્યારે આ મામલે નડીયાદના ડીવાયએસપી બિમલ બાજપાઈએ જણાવ્યું કે, સમગ્ર તપાસ દરમિયાન પોલીસને કેટલીક વાત શંકાસ્પદ જણાતા આ બાબતે વિગતવાર સઘન પૂછપરછ ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન યુવતીના પિતાને માહિતી મળેલી કે આરોપી વિરેન્દ્ર ભરતભાઈ ચૌધરી (રહે.ખતોડા, તા.વડનગર, જિ.મહેસાણા) યુવતીને મોબાઈલ પર મેસેજ કરીને પૈસાની માંગણી કરતો હતો અને કેટલાક અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. તેનાથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હતો. જે બાદ પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ કામગીરી હાથ ધરી છે.
કોઈની સંડોવણી બહાર આવશે તો કરાશે કાર્યવાહી
તેમણે જણાવ્યું કે, આરોપીનો મોબાઈલ કબજે કર્યો છે, તેનું એફએસએલ પરીક્ષણ કરાવવામાં આવશે. આરોપીની પૂછપરછ માટે તેના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. હાલ આ યુવકે મૃતક યુવતી પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા હતા તે અંગેની તપાસ ચાલી રહી છે. આ કેસમાં અન્ય કોઈની પણ સંડોવણી બહાર આવશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.