પત્નીનાં મોતનો અફસોસ કર્યા વગર IB ઓફિસર જંગલમાં હતો
હત્યારાને ફક્ત પત્નીની જાસૂસી કરવાનું કહ્યું હોવાનું રટણ
અમદાવાદ વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર વિભાગ-2માં રહેતી મનીષાના હત્યા કેસમાં સેન્ટ્રલ IBના અધિકારીએ પોલીસ સમક્ષ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પત્ની મનીષાની હત્યા કર્યા બાદ સેન્ટ્રલ IBનો ઓફિસર તેલંગાણાનાં જંગલમાં છુપાઇને રહ્યો હતો અને ત્યાં રહીને છેક સુપ્રીમ કોર્ટ સુધી જામીન લેવાની કોશિશ કરી હતી.
વેજલપુર પોલીસ સ્ટેશનના સકંજામાં આવેલા સેન્ટ્રલ આઇબીના અધિકારી રાધાકૃષ્ણ મધુકર દૂધેલાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે, બંને આરોપીને મનીષાની હત્યા કરવા માટે નહીં પરંતુ તેની જાસૂસી કરાવવા માટેના રૂપિયા તેણે આપ્યા હતા. આ સાથે છેલ્લા બે દિવસથી મેં મારી પત્નીની હત્યા કરવા માટે સોપારી આપી ન હતી. મેં તો તેની જાસૂસી કરવા માટે ખલીલુદ્દીન અને તેના મિત્રને કહ્યું હતું તેવું રટણ કરી રહ્યો છે. પત્ની મનીષાની હત્યાનો કોઇ અફસોસ ન રાખતાં રાધાકૃષ્ણ છેલ્લા છ મહિનાથી તેલંગાણાનાં જંગલમાં રહ્યો હતો અને ત્યાં પાર્ટી કરતો હતો.
જામીન માટે સુપ્રીમ પહોંચ્યો હતો આરોપી
આ તરફ જામીન મળી જશે તેવી આશાથી રાધાકૃષ્ણે છેક સુપ્રીમ કોર્ટ સુધી જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે તેના વકીલને સાંભળવાની પણ તસદી લીધી નહીં જેના કારણે તે વેજલપુર પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો.
શું હતી સમગ્ર ઘટના ?
વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર ફ્લેટ વિભાગ 2માં એન/બ્લોકના ફ્લેટ નંબર 104માં છેલ્લા ઘણા સમયથી મનીષા એકલી રહેતી હતી. મનીષાના ઘરને છેલ્લા ઘણાં દિવસથી તાળું હતું અને આસપાસના ફ્લેટના રહીશોને અત્યંત દુર્ગંધ આવવા લાગી હતી. ફ્લેટના રહીશો ભેગા થઇ ગયા હતા અને મનીષાના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાનુ લાગતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.
પોલીસ તાળું તોડી ઘરમાં પ્રવેશી અને.....
વેજલપુર પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ફ્લેટનું તાળુ તોડીને ઘરમાં ગઈ હતી, જ્યાં મનીષાની લોહીથી લથપથ હાલતમાં વિકૃત લાશ જોઇ હતી. મનીષાની હત્યા કોઇ જાણભેદુએ કરી હોવાની શંકા રાખીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ કર્યો હતો. મનીષા છેલ્લા ઘણા સમયથી મકાનમાં એકલી રહેતી હતી.
પતિ સાથે થયા હતા છૂટાછેડા
મહિલાના પતિ જે મધ્યપ્રદેશમાં સેન્ટ્રલ આઇબીમાં ફરજ બજાવતા હતા તેની સાથે ડીવોર્સ થઇ ગયા હતા. છૂટાછેડા બાદ રાધાકૃષ્ણે દર મહિને ૩૦ હજાર રૂપિયાનું ભરણપોષણ આપવું પડતું હતું. ભરણપોષણ આપવું પડે નહીં તે માટે રાધાકૃષ્ણે તેલંગાણાના ખલીલુદ્દીન સાથે સંપર્ક કર્યો હતો અને 15 હજારની સોપારી આપીને હત્યા કરવાનો આદેશ આપ્યો હતો. ખલીલુદ્દીને અમદાવાદ આવીને બાઇક ભાડે લીધું હતું. જ્યાં તેણે પોતાનાં ઓરિજનલ ડોક્યુમેન્ટ આપ્યા હતા. પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે બાઇક નંબર મળી ગયો હતો જેના કારણે ખલીલુદ્દીન સુધી તે પહોંચી ગઇ હતી.
પોલીસના ઇન્વેસ્ટિગેશન સામે રાધકૃષ્ણની સુપ્રીમ કોર્ટે પણ મદદ ના કરી
મનીષા હત્યા કેસમાં પોલીસે ઝીણવટભરી તપાસ કરીને મજબૂત ડોક્યુમેન્ટ્રી એવિડન્સ ઊભા કર્યા હતા. જેના કારણે રાધાકૃષ્ણને છેક સુપ્રીમ કોર્ટે પણ સાંભળ્યો નહીં. રાધાકૃષ્ણએ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી જેમાં પણ કોર્ટે જામીન આપ્યા ન હતા, ત્યારબાદ હાઇકોર્ટમાં પણ જામીન અરજી થઇ હતી. જેમાં કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પણ તેણે અરજી કરી હતી. જોકે તેને સાંભળવા સુપ્રીમ કોર્ટ પણ તૈયાર ન હોવાથી તે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો.