પેપર લીક કાંડ મામલે મોટો ખુલાસો સામે આવ્યા છે, મુખ્યસુત્રધાર જયેશ પટેલ દ્વારા પેપર ક્લાસીસ સંચાલકોને અપાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે
પેપર લીક કાંડ મામલે મોટો ખુલાસો
ક્લાસીસ સંચાલકોને પેપર આપ્યાનું અનુમાન
જયેશ અને દેવલના ફોનથી ખુલશે અનેક રહસ્યો
સાબરકાંઠામાંથી પેપર લીક કાંડ મામલે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. સૂત્રધાર જયેશ પટેલ દ્વારા પેપર ક્લાસીસ સંચાલકોને અપાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયેશ પટેલ અને દેવલ પટેલ ક્લાસીસ સંચાલકોને સંપર્કમાં હતા. ક્લાસીસ સંચાલકોના માધ્યમથી ઉમેદવારો સુધી પેપર પહોંચ્યાની પોલીસને શંકા છે. જયેશ પટેલ અને દેવલ પટેલના ફોનથી વધુ રહસ્યો ખુલવાની શક્યતા જોવાઇ રહી છે. જયેશ પટેલની પૂછપરછમાં જયેશ પટેલે 30 જેટલા લોકોને પેપર આપ્યાનું કબૂલ્યું છે.મહત્વનું છે કે સાબરકાંઠામાં હેડક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થવા મામલે પોલીસે અત્યાર સુધીમાં 18થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. પેપરકાંડને લઈને પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધારથી લઇ વિદ્યાર્થી સુધી પેપર પહોંચાડનારા તમામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસે દેવલ પટેલની ધરપકડ કરી છે. તેમજ વધુ પ્રાંતિજના અન્ય બે લોકોની ધરપકડનો તખ્તો તૈયાર કર્યો છે.
પેપર લીકમાં પોલીસે કરી વધુ એકની ધરપકડ
મહત્વનું છે કે ગઈ કાલે જ પોલીસ વધુ ત્રણ લોકોની અટકાયત કરી હતી.. ત્યારે પેપરલીક કેસમાં વધુ આરોપીઓના નામ સામે આવી રહ્યા છે. એક તરફ પેપર લીક થયા બાદ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાંની માંગ પણ ઉઠી રહી છે. ત્યારે પેપરલીક મામલે ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે. અહીં ઉલ્લેખનિય છે કે પેપરકાંડમાં પકડાયેલા સૌથી પહેલા 6 આરોપીઓના રિમાન્ડ પૂરા થશે અને બાદમાં પોલીસ દ્વારા મોટા ખુલાસાઓ થઈ શકે છે.
વિપક્ષ અસિત વોરાના રાજીનામાની કરી રહ્યું છે માંગ
મહત્વનું છે કે હેડક્લાર્ક પેપર લીક થયા બાદ વિપક્ષ સતત માંગ કરી રહ્યું છે કે આ ઘટના માટે અસિત વોરા જવાબદાર છે અને તેમને પદેથી હટાવવામાં આવે. ખાસ કરીને AAPના અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ આ પેપર લીક મામલે પુરાવા રજૂ કર્યા બાદ તેમને આ GSSSBના ચેરમેન પદેથી હટાવવા માટે ભારે માંગ કરી રહ્યાં છે. ત્યાર બાદ AAP એ પણ ગાંધીનગર ખાતે ભારે ઘર્ષણની વચ્ચે વિરોધ પ્રદર્શન કર્યા હતા. કોંગ્રેસ પણ રટણ કરી રહ્યું છે કે ભાજપના રાજમાં ફટાકડાની જગ્યાએ પેપર વધારે ફૂટે છે.
પેપરલીક કાંડ પછી પણ સરકારના અસિત વોરા પર ચાર હાથ
એક બાજુ જ્યાં યુવરાજ સિંહ સહિતનાં નેતા અસિત વોરા સામે આરોપો લગાવી રહ્યા છે અને તપાસ માટે તેમને પદ પરથી દૂર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે ત્યારે સરકારને અસિત વોરા પર પૂરો વિશ્વાસ છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે અસિત વોરાને ક્લીનચિટ આપી છે. વાઘાણીએ આજે અસિત વોરાના વખાણ કરતાં કહ્યું કે તેમના સમયમાં ગુજરાતમા સારી રીતે પરીક્ષા લેવાઈ રહી છે. અને તેમને ચેરમેન પદેથી હટાવવામાં આવશે નહીં. જૉ પેપરલીક થયું હશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે.
સી.આર.પાટીલે અસિત વોરાને આપી હતી ક્લીન ચિટ?
ગુજરાત સરકાર તરફથી હેડક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે 2 દિવસ પહેલા આ બાબતે નિવેદન આપતા પાટીલે કહ્યું છે કે ભરતી પ્રક્રિયામાં અધીકારીઓને જ સત્તા હોય છે. તપાસમાં કોઈપણ વ્યક્તિ હશે તેના પર કાર્યવાહી થશે અને થઈ રહી છે જે પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહી આવે, પણ ગૌણસેવાના ચેરમેન પ્રતિષ્ઠીત વ્યક્તિ છે એક વાત સમજવી જરૂરી છે કે બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ બંને અલગ બાબત છે. યુવાનોના વિશ્વાસ ન તુટે એ માટે સરકાર પગલા લઈ રહી છે. ગૌણસેવાના ચેરમેન પર માત્ર આક્ષેપો થઈ રહ્યા છે તેના પુરાવા નથી. કોઈપણ ચમરબંધી હશે તેને નહી છોડવામાં આવે કારણ કે અમે કોઈને પણ બચાવવા માંગતા નથી.હું ચોક્કસ પણે માનુ છુ કે પેપર લીક થયું છે. આગામી સમયમાં પરીક્ષા કેવી રીતે લેવી તેની ચર્ચા ચાલુ છે. આવનાર ભરતીમાં પેપર લીક ન થાય તે માટે તમામ પગલા લેવશે તેવી વાત પણ સી આર પાટીલે કરી હતી.