વાલોડ તાલુકાના મોરદેવી ગામેં ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં વીજ કરંટને પગલે પતિ, પત્ની અને પુત્રના એક સાથે મોત નિપજતા હાહાકાર મચી ગયો છે.
વાલોડ તાલુકાના મોરદેવી ગામે હૈયુ હચમચાવતી ઘટના
એક સાથે પરિવારના ત્રણ સભ્યો પર વીજ કરંટથી મોત
વીજ તારનીં સ્વીચ બંધ કરવાનું ભૂલી જતા આ દુર્ઘટના ઘટી
તાપી જિલ્લામાં કાળજું કંપાવી નાખતી ઘટના સામે આવી છે જેમાં એક સાથે પરિવારના ત્રણ સભ્યો પર વીજ કરંટથી મોત થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ખેડૂત પરિવારએ જંગલી ભૂંડથી બચવા વિજતાર લગાવ્યા હતા જેમાં પતિને કરંટ લાગતા પત્નીએ ક્ષણ ભરનો પણ વિલંબ કર્યા વગર દોટ લગાવી હતી. જેમાં તેને પણ શોક લાગ્યો હતો આ દરમિયાન માને બચાવવા જતા પુત્રને પણ આંચકો લાગતા તમામના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. વીજ તારનીં સ્વીચ બંધ કરવાનું ભૂલી જતા આ દુર્ઘટના ઘટી હોવાનું બહાર આવ્યું છે.
હૈયુ હચમચાવતી ઘટના
વાલોડ તાલુકાના મોરદેવી ગામે વસવાટ કરતા અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ધીરુભાઈ ચૌધરી, પોતાની પત્ની ક્રિષ્ના બેન ચૌધરી અને પુત્ર દેવરામ ઉર્ફે શેલેષ ચૌધરી સાથે રહેતા હતા. આ દરમિયાન ભૂંડના ત્રાસથી બચવા તેમને ખેતરમાં વિજ કરંટ મુક્યો હતો આ તારનું કનેક્શન ધીરુભાઇના ઘરમાથી અપાયું હતું આથી દિવસ દરમિયાન સ્વીચ બંધ કરી દેતા હતા.પરંતુ આજે સ્વીચ બંધ કરવાનું ભૂલી જતા હૈયુ હચમચાવતી ઘટના ઘટી હતી.
ગામમાં ગમગીની છવાઈ
ધીરુભાઈ સવારે વહેલા પાણી વળવા ગયા હતા. પાણી વાળતી વેળાએ ભેજને પગલે એકાએક જોરદાર વીજ શોક લાગ્યો હતો. જે અંગે જાણ થતા ક્રિષ્નાબેન દોડી ગયા હતા અને તેને પણ આંચકો લાગ્યો હતો. આ બનેના અવાજ સાંભળી પુત્ર પણ કૂદી પડતા ત્રણેયને વીજ શોક લાગ્યો હતો અને તમામને સારવાર મળે તે પહેલા જ મોત નિપજયા હતા. જેને લઇને ગામમાં ગમગીની છવાઈ હતી. બીજી બાજુ પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો હતો. તો વાલોડ પોલીસે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.