વસ્ત્રાપુર લેકનો ચોંકાવનારો બનાવ. ખાટલા પર સૂઇ રહેલા મજૂરની ઘાતકી હત્યા, પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
વસ્ત્રાપુર લેકનો ચોંકાવનારો બનાવ
હત્યારો પાવડો ઝીંકતો રહ્યો ને ત્રણ યુવક મૂક પ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા
ખાટલા પર સૂઇ રહેલા મજૂરની ઘાતકી હત્યા
શહેરના વસ્ત્રાપુર લેક ખાતે સમી સાંજે એક મજૂરની ઘાતકી હત્યા થઇ છે, જેમાં માનવતા મરી પરવારી હોવાની ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. હત્યારો જ્યારે પાવડા વડે મજૂર પર આડેધડ હુમલો કરીને ઘા ઝીંકી રહ્યો હતો ત્યારે ઈવનિંગ વોક માટે નીકળેલા ત્રણ યુવક મુકપ્રેક્ષક બનીને સમગ્ર ઘટના જોઇ રહ્યા હતા. હુમલાની આ ઘટના જોઇને જો ત્રણેય યુવક મદદ માટે દોડી ગયા હોત તો કદાચ આજે મજૂરનું કરુણ મોત થયું ન હોત.નિકોલ વિસ્તારમાં આવેલા સ્કાય વ્યૂ રેસિડન્સીમાં રહેતા અને પ્રાઇડ ઇન્ફ્રાસ્ટક્ચર નામથી કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા અશ્વિન વામજાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. અશ્વિન વામજા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટેન્ડરથી કન્ટ્રક્શનનું કામ રાખે છે. હાલ વસ્ત્રાપુર લેક ખાતે રિટર્નિંગ વોલ બનાવવાના કામકાજનું ટેન્ડર અશ્વિન વામજાને મળ્યું છે. જેમાં દસેક મજૂર કામ કરે છે.
વસ્ત્રાપુર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે
ગઇ કાલે અશ્વિન વામજા પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના મોબાઇલ ફોન પર બોડકદેવ વોર્ડના આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર નવીનભાઇ પંચાલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે વસ્ત્રાપુર લેક પર ચાલતી તમારી સાઇટ પર કોઈ બનાવ બન્યો છે. અશ્વિન વામજાએ તરત જ સાઇટ એન્જિનિયર ગૌરવ પટેલને વસ્ત્રાપુર તળાવ ખાતે પહોંચવાનું કહ્યું હતું. ગૌરાંગ તરત જ વસ્ત્રાપુર લેક પાસે પહોંચી ગયો હતો જ્યાં તેણે અશ્વિન વામજાને ફોન કરીને કહ્યું કે વસ્ત્રાપુર લેકની અંદર એડ્વેન્ચર પાર્કની પાછળ મજૂર લાલાભાઇ સંગાડા ખાટલામાં મૃત હાલતમાં પડ્યા છે. અશ્વિન વામજા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા દરમિયાનમાં વસ્ત્રાપુર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી ગઇ હતી.
માથાના તેમજ ગળાના ભાગે પાવડાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા
લાલાભાઇ સંગાડા દાહોદ જિલ્લાના હીરોલા ગામના વતની છે અને તે વસ્ત્રાપુર લેક ખાતે બની રહેલી રિટર્નિંગ વોલમાં મજૂરી કામ કરે છે અને મોડી રાતે ચોકીદારી પણ કરે છે. છેલ્લા દસ દિવસથી તે વસ્ત્રાપુર લેક ખાતે કામકાજ માટે આવ્યા હતા. અજાણ્યા શખ્સે લાલાભાઇના માથાના તેમજ ગળાના ભાગે પાવડાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે.
લાલાભાઇ ખાટલામાં સૂઇ રહ્યા હતા ત્યારે અજાણ્યો શખ્સ તેની પાસે આવ્યો હતો અને પાવડો લઇને તેના ઉપર ફરી વળ્યો હતો. લાલાભાઇ સૂતા હોવાથી તે પોતાની જાતને બચાવવાની કોશિશ પણ કરી શક્યા નહીં અને હત્યારાે ઉપરાછાપરી પાવડાના ઘા ઝીંકવા લાગ્યો હતો. હત્યારાએ ઉપરાછાપરી લાલાભાઇના માથા અને ગળામાં ૧૧ ઘા મારતાં તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. હત્યારો હત્યા કરીને શાંતિથી ચાલતો ચાલતો પાવડો લઈને જતો રહ્યો હતો.
હત્યારાએ અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે હત્યારા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં માનવતા મરી પરવારી હોવાની પણ કિસ્સો જોવા મળ્યો છે.
સીસીટીવી કેમેરામાં કેદ
વસ્ત્રાપુર લેક ખાતે રોજ સંખ્યાબંધ લોકો ચાલવા માટે આવે છે ત્યારે ગઇ કાલે સાંજે પણ લોકો ચાલવા માટે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે કે હત્યારો જ્યારે લાલા પર પાવડા વડે હુમલો કરી રહ્યો છે ત્યારે ત્રણ યુવક ત્યાંથી પસાર થઇ રહ્યા છે. આ ઘટના જોઇને ત્રણ યુવક લાલાને બચાવવાની જગ્યાએ પાછા વળી ગયા હતા. જો ત્રણેય યુવકોએ હત્યાનો સામનો કરવાની હિંમત કરી હોત તો કદાચ લાલાભાઇ આજે જીવતા હોય. ત્રણેય યુવક મુકપ્રેક્ષકની જેમ આખી હત્યાની ઘટના જોતા રહ્યા હતા.