કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલનાં રાજીનામાંને લઇને ઉત્તર ગુજરાત PAAS કન્વીનર નરેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન પણ આપ્યું છે. નરેન્દ્ર પટેલે આશાબેન પટેલનાં રાજીનામા માટે સોદો થયાનો આરોપ લગાવ્યો છે. નિવેદન આપતા જણાવ્યું કે 'રાજીનામા માટે રૂ.22 કરોડમાં સોદો થયો હતો.
ઉંઝા APMCનાં ચેરમેન બનવા દિનેશ પટેલે રૂપિયા આપ્યાં. નારાયણ પટેલને APMC છોડવાનું કહેવામાં આવશે. રૂપિયાની લેતીદેતી કરી આશાબેને સમાજ સાથે દ્રોહ કર્યો છે. PAAS કન્વીનર નરેન્દ્ર પટેલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યાં છે. નરેન્દ્ર પટેલે ભાજપ પર લાખો રૂપિયા આપીને ખરીદવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.'
ઉલ્લેખનીય છે કે હાલમાં જ આશાબેનને લઇને ભાજપમાં જોડાવવા અંગેની અટકળો પણ વહેતી થઇ હતી. તમને જણાવી દઇએ કે આશાબેન પટેલે પોતાનાં ધારાસભ્યનાં પદ પરથી રાજીનામું આપ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા આશાબેને રાજીનામું આપતાં કોંગ્રેસને એક મોટો ફટકો પણ પડ્યો છે.
ઉંઝાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપી દીધું છે. આશાબેન પટેલે વિધાનસભા અધ્યક્ષને આ રાજીનામું સોંપ્યું હતું અને વિધાનસભા અધ્યક્ષે પણ રાજીનામું સ્વીકારી લીધું હતું. આ અંગે આશાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું પણ સામે આવ્યું હતું.