ઓક્ટોબર 2016માં ટાટા સન્સના ચેરમેન પદેથી અચાનક સાયરસ મિસ્ત્રીને હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ ટાટા સન્સ અને મિસ્ત્રી વચ્ચે કાયદાકીય જંગ આરંભાયો હતો. જેનો આજે નિર્ણય આવી ગયો છે.
સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપના અધ્યક્ષ નહીં બની શકે.. દેશના સૌથી મોટી ઔદ્યોગિક ગ્રુપમાંથી એક ટાટા મુદ્દે 5 વર્ષથી ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે ટાટાના પક્ષમાં ચુકાદો આપ્યો છે.
કોર્ટે મિસ્ત્રીના નિયંત્રણ વાળી શપૂરજી પાલનજી ગ્રુપને મળતા વળતર પર કોઈ આદેશ નથી આપ્યો. ચીફ જસ્ટીસ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે આ મામલે અલગ કાયદાકીય પ્રક્રિયા ચાલશે.
મિસ્ત્રીને 2016માં એક બોર્ડ મિટીંગમાં ટાટાના ચેરમેન પદેથી હટાવી દેવાયા હતા. મિસ્ત્રીએ આ મામલે કાયદાકીય લડાઈ લડી હતી. અને ડિસેમ્બર 2019 માં NCLATએ મિસ્ત્રીને હટાવવાની પ્રક્રિયાને અયોગ્ય ઠેરવી હતી અને ફરીથી વરણીનો આદેશ આપ્યો હતો. ટાટા ગ્રુપ આ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું. જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર રોક લગાવી દીધી હતી. આજે કોર્ટે ટાટા બોર્ડમાં થયેલી કાર્યવાહીને યોગ્ય માની છે અને NCLATના આદેશને રદ કરી દીધો છે
રતન ટાટાએ કરી સિદ્ધાંતોની વાત
ટાટા સન્સના ચેરમેન રતન ટાટાએ ટ્વિટ કરીને સુપ્રિમ કોર્ટના નિર્ણયને બિરદાવ્યો છે. તેમણે લખ્યું કે, હું માનનીય સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા નિર્ણયની સરાહના કરુ છુ અને ધન્યવાદ આપુ છુ.
આ જીત કે હારની વાત નથી, મારા સ્વાભિમાન અને ટાટા ગ્રુપના નૈતિક આચરણ પર સતત થઇ રહેલા હમલા બાદ આ નિર્ણયે ટાટા સન્સના મૂલ્યો અને આચરણોને પ્રમાણિત કરવાનુ કામ કર્યુ છે. જે ગ્રુપ માટે મૂળ સિદ્ગાંત છે. આ નિર્ણયે આપણી ન્યાયપ્રણાલીમાં નિષ્પક્ષતા અને ન્યાયને મજબૂતી પ્રદાન કરી છે.
શું કહ્યું સુપ્રીમે
મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડે અને ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના અને વી રામસુબ્રમણ્યમની પીઠે ટાટા ગ્રુપની અપીલનો સ્વિકાર કર્યો. પીઠે પોતાના આદેશમાં કહ્યું કે રાષ્ટ્રીય કંપની લૉ અપીલીય ન્યાયાધિકરણને 18 ડિસેમ્બર 2019ના આદેશને રદ્દ કરવામાં આવે છે. ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સાયરસ ઇનવેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને રાષ્ટ્રીય કંપની વિધિ અપીલીય ન્યાયાધિકરણના નિર્ણય વિરુદ્ધ ક્રોસ અપીલ કરવામાં આવી હતી જેના પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે.