મહારાષ્ટ્રમાં મંગળવારે રાજકીય ઉથલપાથલ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસને ત્રણ દિવસમાં જ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું. હવે ઉદ્ધવ ઠાકરે નવા મુખ્યમંત્રી હશે. આ બદલાવથી ઉત્સાહિત શિવસેનાએ તેના મુખપત્ર 'સામના'માં ભાજપા પર નિશાન સાધ્યું છે.
'સામના' માં 'ઉદ્દંડ શોરગુલ થમા, અબ શુભ હોગા' નામથી તંત્રી લેખ લખવામાં આવ્યો
સામના : ભ્રષ્ટ અને ગેરકાનૂની રીતે મહારાષ્ટ્ર પર ઠોકી બેસાડેલી સરકાર માત્ર 72 કલાકમાં જ તુટી પડી
શિવસેનાએ કહ્યું, ભાજપની નીતિ ઉલટા ચોર કોટવાલને દંડે જેવી
'ઉદ્દંડ શોરગુલ થમા, અબ શુભ હોગા' નામથી લખેલા તંત્રી લેખમાં શિવસેનાએ લખ્યું, જે અજિત પવારના સમર્થનથી ફડણવીસે સરકાર બનાવવાનો દાવો કર્યો, તેઓએ પહેલા જ ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ અને અજિતની સાથે બે ધારાસભ્યો પણ ન બચ્યા. પૂર્ણ વિશ્વાસ થયા બાદ દેવેન્દ્ર ફડણવીસને પણ જવુ પડ્યું.
તેમા આગળ લખવામાં આવ્યું છે કે, ભ્રષ્ટ અને ગેરકાનૂની રીતે મહારાષ્ટ્ર પર ઠોકી બેસાડેલી સરકાર માત્ર 72 કલાકમાં જ તુટી પડી. એજન્ટ પૈસાનું બેગ લઇને ધારાસભ્યોની પાછળ ફરતા રહ્યા હતા. બહુમત ખરીદીને રાજ કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.
'સામના' માં તંત્રીલેખ મુજબ, બંધારણના દિવસે જ સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આવવો અને દમનકારી રાજનીતિ કરનારાઓને ઝટકો લાગવો, તેને સુખદ સંયોગ કહેવામાં આવશે. સત્તાધારીઓ ભલે જ લોકશાહી મુલ્યો અને સિદ્ધાંતનું બજાર લગાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તે ધ્વસ્ત થઇ ગયું.
'સામના' માં ફડણવીસ અને અજિત પવારના શપથગ્રહણ અને રાજભવનની નીતિ પર સવાલ ઉભા કરવામાં આવ્યા. તેમા લખવામાં આવ્યું કે, 24 કલાકમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ફડણવીસની ગેરકાનૂની રીતે બનાવવામાં આવેલી સરકાર તુટી પડશે, એ બતાવવા માટે કોઇ જ્યોતિષીની આવશ્યકતા રહી નહોતી. બહુમતીનો આંકડો ન હોવા છતા ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ પહેલો ગુનો હતો. જેમના સમર્થનથી શપથ લીધા, એ અજિત પવાર ઉપર લાગેલા ભ્રષ્ટાચારના તમામ આરોપોને 4 કલાકમાં જ રદ્દ કરી દેવાયા. આ બીજો ગુનો. આ ગૂના માટે જગ્યા પસંદ કરવામાં આવી મુંબઇનું રાજભવન. અહીં બંધારણની રક્ષા કરવી જોઇએ, ત્યારે બંધારણના સંરક્ષકોએ આ ગુનાને કવચ પહેરાવી દીધુ.
'સામના' ના તંત્રી લેખમાં લખવામાં આવ્યું કે, લોકશાહી મુલ્યોની રક્ષા થવી જોઇએ. ભાજપ સાથે અમારો વ્યક્તિગત ઝઘડો નથી. પરંતુ જતા-જતા ફડણવીસ અમારા પર આરોપ લગાવ્યા છે. તેઓએ શિવસેનાને સત્તા માટે લાચાર હોવાની વાત કરી છે. આ કહેવું બિલકુલ એવું જ છે કે, ઉલટા ચોર કોટવાલને દંડે. શિવસેનાને લાચાર બતાવનાર પહેલા ખુદ પર લાગેલી ધૂળ જુએ.
તેમા લખવામાં આવ્યું કે, અજિત પવારની સાથે તેમનું 'નજીક' હોવું ચાલશે, પરંતુ શિવસેનાની સાથે જે વાત નક્કી થઇ હતી, તેનાથી પલટી મારીને શું મળ્યું ? તમે જુઠ્ઠુ બોલ્યા અને શિવસેનાને જુઠ્ઠી સાબિત કરવાનો પ્રયાસ કર્યો. તેથી મહારાષ્ટ્રની સ્થિરતા અને સ્વાભિમાન માટે 3 પાર્ટીઓએ સાથે આવવાનો નિર્ણય લીધો.
'સામના' માં લખવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં સત્તા માટે ભાજપા આટલી ઉતાવળી કેમ હતી? આટલુ અનૈતિક અને સિદ્ધાંતવિહીન આચરણ દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી બાજપેયીના અનુયાયીઓ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. અમારા દ્વારા 162 લોકોનો આંકડો બતાવવા છતા તેઓએ અમને જુઠ્ઠા જાહેર કરવા ઘૃણિત પ્રયાસ કર્યા. બહુમત પરીક્ષણ પહેલા જ ફડણવીસ સરકાર ભાગી નીકળી. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોઇપણ સરકાર અથવા રાજકીય પાર્ટી આટલી બદનામ થઇ નહોતી. અજિત પવારે અંતિમ ક્ષણોમાં પોતાનું વસ્ત્રહરણ રોકી લીધું પરંતુ ભાજપ પૂર્ણ રીતે નગ્ન થઇ ગઇ. મહારાષ્ટ્રનો 'ઉદ્ંડ શોરગુલ થમ ગયા, અબ શુભ હોગા'.