મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ ભલે સત્તામાંથી ઉદ્ધવ ઠાકરેને ખસેડી દીધા હોય, પણ ઉદ્ધવ ઠાકરે અને ઠાકરે પરિવાર માટે તેમને કેટલું માન-સન્માન છે, તેનો પરિચય તેમણે ભાજપને આપી દીધો છે, અને સાનમાં સમજી જવાની ચેતવણી પણ આપી દીધી છે.
મહારાષ્ટ્રમાં ભલે ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગઈ હોય, અને શિંદે જૂથ ખુરશી પર બિરાજમાન થયું હોય, ભલે એકનાથ શિંદે સહિત 40 ધારાસભ્યોએ બળવો કર્યો હોય, પણ આજેય બળવાખોર જૂથના ધારાસભ્યોના દિલમાં ઉદ્ધવ ઠાકરે પ્રત્યે આદર અને માનસન્માન એટલું જ છે, જેટલું પહેલાથી કરતા આવ્યા છે. તેનું ઉદાહરણ શુક્રવારે જોવા મળ્યું હતું. જ્યારે બળવાખોર જૂથના ધારાસભ્ય દીપક કેસરકર અને સંજય રાઠોડે ભાજપના નેતા કિરીટ સોમૈયા પર બરાબરના પ્રહારો કર્યા હતા. બંને નેતાઓનું કહેવુ હતું કે, અમને સરકારની કોઈ ચિંતા નથી, પણ ઠાકરે પરિવાર પર વ્યક્તિ પ્રહાર સાંખી લેવામાં આવશે નહીં. અમે ભલે અમારુ જૂથ બનાવી લીધું હોય, પણ ઠાકરે પરિવાર માટે આજે પણ અમારા મનમાં આદર સન્માન છે. હકીકતમાં જોઈએ તો, કિરીટ સોમૈયાએ એકનાથ શિંદેના બહાને ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા હતા.
સોમૈયાએ શું કહ્યું હતું
મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ એક ટ્વિટ કરીને પ્રહાર કર્યો હતો. તેમણે આ ટ્વિટ એકનાથ શિંદે સાથે મુલાકાત કર્યા બાદ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે લખ્યું હતુ કે, રિક્ષાવાળા સીએમ એકનાથ શિંદે સાથે આજે મંત્રાલયમાં મુલાકાત કરી અને તેમને શુભકામનાઓ આપી. માફિયા સીએમ (ઉદ્ધવ ઠાકરે ) ને બદલવા માટે તેમનો આભાર.
સોમૈયાના ટ્વિટ પર ભડક્યા દીપક કેસરકર
કિરીટ સોમૈયાના ટ્વિટ બાદ બળવાખોર જૂથના નેતા દીપક કેસરકરે ભાજપના નેતાનો ઉધડો લઈ લીધો હતો. તેમણે કહ્યું કે, અમે સોમૈયા દ્વારા ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ઉપયોગમાં લેવાયેલા શબ્દો સાથે કોઈ પણ સંજોગોમાં સહમત નથી. તેમને આવા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ નહીં. કેસરકરે કહ્યું કે, તેમને આ પ્રકારની ટિપ્પણી કરવાની જરૂર નથી. તેમણે એવું પણ કહ્યું કે, મેં પહેલા જ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી નહીં કરવાનો અનુરોધ કર્યો છે.
ગાયકવાડે સોમૈયાને ચેતવણી આપી
બુલઢાણાથી ધારાસભ્ય સંજય ગાયકવાડે આ અગાઉ કિરીટ સોમૈયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોમૈયાને ચેતવણી આપી હતી કે, તે ઠાકરે પરિવાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ટિકા સહન નહીં કરીએ. તેમણે કહ્યું કે, સોમૈયા જો ઠાકરે પરિવાર વિરુદ્ધ આવી જ રીતે નિવેદનો આપતા રહેશે, તો અમે સરકારની ચિંતા કરીશું નહીં. ગાયકવાડે કહ્યું કે, સોમૈયા એવું જરાં પણ ન વિચારે કે, ધારાસભ્યો શિવસેનાથી અલગ થઈ ગયા છે તો અમે બાલાસાહેબ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પ્રત્યેની વફાદારી છોડી દીધી છે.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આડકતરી રીતે કર્યો પ્રહાર
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે માતોશ્રીમાં મીડિયા કર્મી સાથે મુલાકાત દરમિયાન એકનાથ શિંદે સહિત બળવાખોર જૂથના ધારાસભ્યો પર પ્રહાર કરતા કહ્યું કે, તમે એવા લોકોની સાથે છો, જેણે મારા દિકરા આદિત્ય ઠાકરેને જેલમાં નાખવા અને તેનું રાજકીય કરિયર ખતમ કરવાનો પુરો પ્લાન તૈયાર કર્યો હતો. તેમણે કહ્યું કે, જો બળવાખોર ધારાસભ્યો ભાજપ સાથે ખુશ છે તો તેઓ ત્યાં જ રહે, પણ મારી પાર્ટીના કાર્યકર્તાના આંસૂ મારા માટે વધારે મહત્વના છે.