મહારાષ્ટ્રમાં પૂર્વ કમિશનર પરમબીર સિંહના લેટર વિવાદ પછી આજે દેવેન્દ્ર ફડણવીસ ગૃહસચિવને મળવા પહોંચ્યા હતા, જો કે સંજય રાઉતે આ બાબતે મજાક કરી હતી અને કહ્યું હતું કે કઈં પણ નહીં થાય.
મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ
દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય ગૃહસચિવની સાથે કરી મુલાકાત
સંજય રાઉતે ફડણવીસની મજાક ઉડાડી
મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે કેન્દ્રીય ગૃહ સચિવને મળીને સીબીઆઇ તપાસની માંગણી કરી હતી અને અમુક ડેટા સોંપ્યો હતો, જો કે શિવસેના સાંસદ સંજય રાઉતે તેમની આ હરકતની મજાક ઉડાવી હતી, તેમણે કહ્યું હતું કે તમે ભલે કાગળ રહીને ફરતા રહો, પરંતુ જ્યાં સુધી અમારી પાસે બહુમત છે, તમે અમારો વાળ પણ વાંકો નહીં કરી શકો.
ભલેને આનંદ લેવા દો
વધુમાં ભાજપ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે તેમને ત્યાં જઈને આનંદ મળતો હોઇ તો ભલેને આનંદ લેવા દો, અહીં અમુક લોકો કાગળ લઈને આવે છે અને અમુક ફાઈલો લઈને આવે છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારને પોતાનું કામ કરવા દો, આવું કરવાથી સરકાર પડવાની નથી. દેવેન્દ્ર ફડણવીસ પર આડાકતરો પ્રહાર કરતાં તેમણે કહ્યું કે લોકતંત્રમાં દરેક વ્યક્તિને ફરીથી મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોવાની છૂટ છે, કોઈને PM, કોઈને ગૃહમંત્રી, તો કોઈને રાષ્ટ્રપતિ બનવું છે, પણ આજે મહારાષ્ટ્રમાં અમારી સરકાર છે અને અમારી પાસે બહુમત છે, આવી સરકારને દિલ્હીથી પાડવાની કોશિશ ન થઈ શકે, જે તમે કરી રહ્યા છો, તે બંધારણની વિરુદ્ધ છે.
મારી સામે પુરતા પુરાવા છે જે મેં ગૃહસચિવને સોંપ્યા છે
કેન્દ્રીય ગૃહસચિવ સાથેની મુલાકાત બાદ ફડણવીસે જણાવ્યું કે મારી સામે પુરતા પુરાવા છે જે મેં ગૃહસચિવને સોંપ્યા છે. ગૃહ સચિવે મને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
તેમણે કહ્યું કે મારી પાસે પોલીસ અધિકારીઓની બદલીના કોલ રેકોર્ડના ડેટા છે. આ રિપોર્ટને 25 ઓગસ્ટ 2020 થી અત્યાર સુધી દબાવીને કેમ રાખવામાં આવ્યો. પોલીસ અધિકારીઓની ગંભીર વાતચીત આ કોલ રેકોર્ડમાં રેકોર્ડ છે. આ ગંભીર કેસમાં સામેલ લોકોની સામે મહારાષ્ટ્ર સરકારે કાર્યવાહી કેમ ન કરી. તે વખતના ડીજીપીએ તપાસની માગ કરી હતી તો શા માટે તેમને રોકવામાં આવ્યા. સીએમે પણ ફાઈલ જોઈ હતી. સરકારે કોને બચાવવા માગે છે.
ફડણવીસે પોલીસ અધિકારી વચ્ચેની વાતચીતના 6.3 જીબી ડેટા ગૃહસચિવને સોંપ્યા હોવાનું કહેવાય છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર પોલીસના આઈપીએસ અને બીજા પોલીસ અધિકારીઓની કથિત ટ્રાન્સફર-પોસ્ટિંગ રેકેટ સંબંધિત કેટલાક દસ્તાવેજો પણ સોંપ્યા છે.
અનિલ દેશમુખ પોલીસ વિભાગની બદલીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરતા હતા-પરમબીરે આરોપ લગાવ્યો હતો
પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને અનિલ દેશમુખના ખોટા કામોની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની મોટી માગ ઉઠાવી છે. પરમબીર સિંહે પોતાની અરજીમાં એવો આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખ પોલીસ વિભાગની બદલીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરતા હતા અને આ મુદ્દાને ઉઠાવનારી એક મહિલા કર્મચારીને હટાવી દેવાઈ હતી. તેમણે કહ્યું કે અનિલ દેશમુખ ઘણા કેસોની તપાસમા માથુ મારતા હતા અને પોતાની મરજી પ્રમાણેની તપાસ માટે આદેશ આપતા હતા. સિંહે કહ્યું કે દેશમુખની આ તમામ પાપલીલાની માહિતી વરિષ્ઠ નેતાઓ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પણ આપી હતી અને આવું કહેવા બદલ મારી બદલી કરી નાખવામા આવી.
પરમબીર સિંહ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યાં છે
પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટની તેમની અરજીમાં હોમ ગાર્ડ ડિપાર્ટમેન્ટમાં પોતાની ટ્રાન્સફર રદ કરવાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે હોમ ગાર્ડ ડિપાર્ટમેન્ટમાં મારી બદલીનો નિર્ણય ગેરકાયદેસર અને મનમાની છે તેથી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. તેમણે કહ્યું કે પોતાના ખોટા કામો છુપાવવા મને બલિનો બકરો બનાવાયો છે. સિંહે તેમની અરજીમાં ઘણા આરોપોના પુરાવા પણ આપ્યાં છે. સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી હોવાનું પણ કહેવાય છે. સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી સુપ્રીમ કોર્ટમાં તેમનો કેસ રજૂ કરશે. સુપ્રીમ આવતીકાલે આ કેસની સુનાવણી કરે તેવી સંભાવના છે.