NDAમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. જેડીયુ બાદ હવે ભાજપની સહયોગી પાર્ટી શિવસેના નારાજ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી પદને લઇને શિવસેના અને ભાજપ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ભાજપ-શિવસેના વચ્ચે ખટરાગ..?
ઉલ્લેખનીય છે કે, એક તરફ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. બંન્ને પાર્ટી પોત-પોતાના મુખ્યમંત્રી ઇચ્છી રહી છે. શિવસેના 2.5-2.5 વર્ષની ફોર્મ્યુલા ઇચ્છી રહી છે. તો આ તરફ અમિત શાહ મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી ઇચ્છી રહ્યા છે. શિવસેનાના સૂત્રોના જણાવ્યું અનુસાર, અમિત શાહે કહ્યું હતું કે, બંન્ને પક્ષ વચ્ચે જવાબદારીની યોગ્ય રીતે વહેંચણી કરવામાં આવશે.
JDU- NDAનો ભાગ નહીં રહે- નીતિશ કુમારનો નિર્ણય
નીતિશ કુમારે જેડીયૂની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એક મોટો નિર્ણય લીધો છે. નીતિશકુમારે એ નક્કી કર્યુ છે કે બિહારનાં બહાર જેડીયૂ ભાજપનાં નેતૃત્વવાળી એનડીએનો ભાગ નહીં રહે. જમ્મુ-કશ્મીર, ઝારખંડ, હરિયાણા અને દિલ્હીમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયૂ એકલું ચૂંટણી લડશે.
નીતિશ કુમારે જેડીયૂની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એક મોટો નિર્ણય લીધો છે. નીતિશકુમારે એ નક્કી કર્યુ છે કે બિહારનાં બહાર જેડીયૂ ભાજપનાં નેતૃત્વવાળી એનડીએનો ભાગ નહીં રહે. જમ્મુ-કશ્મીર, ઝારખંડ, હરિયાણા અને દિલ્હીમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયૂ એકલું ચૂંટણી લડશે. ત્યારે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક અનુસાર બિહારમાં તેઓ એનડીઓનો ભાગ રહેશે અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે.
મહારાષ્ટ્રના નાણામંત્રીનું નિવેદન
આ તરફ મહારાષ્ટ્રના નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુંગટીવારે દાવો કર્યો છે કે, રાજ્યમાં આગામી મુખ્યમંત્રી પણ પોતાની પાર્ટીના જ હશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, ભાજપ અને સહયોગી શિવસેના ચાલુ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઇને ટૂંક સમયમાં નિર્ણય લેશે.
આ સાથે તેમણે કહ્યું કે ,આગામી સમયમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે ભાજપના ઉમેદવાર હશે, આ મામલે ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં કોઇ જ અસંતોષ નથી. ત્યારે હવે જોવું જ રહ્યું કે, આગામી સમયગાળામાં શિવસેના તથા ભાજપ વચ્ચે શું પરિણામ આવે છે.