મહારાષ્ટ્રમાંથી મળતા વાવડ એવા છે કે શિવસેના અને એનસીપી વચ્ચે સંકલન જેટલું સારું છે એટલું કોંગ્રેસ સાથે નથી. કોંગ્રેસ પક્ષમાંથી જ અવારનવાર એવાં નિવેદનો આવતાં જોવાયાં છે, જેને કારણે શિવેસનાને મૂંઝવણમાં મુકાવું પડ્યું છે.
કહેવાય છે કે કોંગ્રેસના પૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ ગઠબંધન સરકારમાં સ્થાન ન મળવાને કારણે નારાજ છે. એમ પણ કહેવાય છે કે આ કોંગ્રેસી નેતાઓના અગાઉનાં નિવેદનો અંગે ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર સમક્ષ પોતાની નારાજી વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે આ પ્રકારનાં નિવેદનો આપણી જ ગઠબંધન સરકારને નુકસાન કરે છે. પવારે પણ આ વાતની નોંધ લીધી છે. તેમણે પણ કોંગ્રેસ મોવડીમંડળને સાવધ કર્યું છે કે મહારાષ્ટ્રમાં મહામુસીબતે ગઠબંધન સરકાર રચાઇ છે અને જો એ આપણા જ પ્રયાસોથી તૂટી પડશે તો કોંગ્રેસને જ વધુ નુકસાન થશે.
તેમણે બિહારના ઘટનાક્રમને પણ યાદ અપાવીને કહ્યું કે આરજેડીના દબાણથી ત્રાસીને નીતીશકુમારે ભાજપની છાવણીમાં જવાનું મુનાસીબ માન્યું હતું. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ મોવડીમંડળ પવારની આ ચેતવણીને કેટલીક ગંભીરતાથી લે છે અને પોતાના પ્રદેશ નેતાઓને કોઇ દિશા-નિર્દેશ આપે છે કે કેમ!
બીજી બાજુ મહારાષ્ટ્ર નિવનિર્માણ સેનાના રાજ ઠાકરે ભાજપ સાથે કદમતાલ કરવા તત્પર છે. એનઆરસી અને એનપીઆરના સમર્થનમાં તેઓ રાજ્યમાં ઝુંબેશ ચલાવે તેવી શક્યતા છે. અમિત શાહ સાથે તેમની મુલાકાત પણ થવાની છે.