શિવસેનાએ મહારાષ્ટ્રમાં રાજગાદી મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ હજુ સુધી કઈ હાથમાં આવ્યું નથી. શિવસેનાએ શરદ પવારનાં ભરોસે ભાજપ સાથે સંબંધો તો તોડી નાખ્યા પણ છેલ્લીઘડીએ એનસીપીએ સમર્થનપત્ર આપવાથી ના પાડી દીધી. મંગળવારે એનસીપી અને કોંગ્રેસની પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું કે હજુ એનસીપી અને કોંગ્રેસ અમુક મુદ્દાઓ પર ચર્ચા કરશે જે બાદ શિવસેનાને સમર્થન આપવા પર વિચાર કરવામાં આવશે. શરદ પવાર અને અહેમદ પટેલની પ્રેસ કોન્ફ્રેન્સ બાદ તરત જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પત્રકારો સાથે વાતચીત કરી હતી. શિવસેના પ્રમુખે દાવો કરતા કહ્યું કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી મળીને સરકાર બનાવવાની ફોર્મ્યુલા શોધી કાઢીશું.
મંગળવારે મહારાષ્ટ્રમાં લાગ્યું રાષ્ટ્રપતિ શાસન
કોંગ્રેસ-એનસીપી બાદ શિવસેનાએ પણ કરી પ્રેસ કોન્ફ્રેન્સ
ભાજપ સાથે જવાના સવાલ પર ભડક્યાં ઉદ્ધવ ઠાકરે
તમને આટલી ઉતાવળ કેમ છે?: ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રમાં સત્તા સંગ્રામ યથાવત છે.રાજનીતિક ઘમાસાણ વચ્ચે મંગળવારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યો. શિવસેનાએ પત્રકાર પરિષદ યોજી.તે દરમિયાન એક પત્રકારે ઉદ્ધવ ઠાકરેથી ભાજપ સાથેના વિકલ્પ પુરા થઇ ગયા કે શું તેના પર સવાલ પૂછ્યો. આ સવાલ સાંભળતાં જ ઉદ્ધવ ઠાકરે લાલચોળ થઇ ગયા. ઠાકરેએ કહ્યું કે 'તમને આટલી ઉતાવળ કેમ છે? આ રાજનીતિ છે અને ભાજપે આ વિકલ્પ પોતે જ ખતમ કર્યો છે'. શિવસેના પ્રમુખે એવો દાવો પણ કર્યો કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવવાનો રસ્તો કાઢી લઈશું.
ભાજપને ખરાબ સમયમાં સાથ આપ્યાનો શિવસેનાનો દાવો
પ્રેસને સંબોધતા આગળ તેમણે કહ્યું કે અમે તો રાજ્યપાલ સામે થોડોક જ સમય માંગ્યો હતો. તેમણે અમને છ મહિનાનો સમય આપી દીધો. લોકસભા પહેલા હું કંઈ અલગ ઈચ્છા ધરાવતો હતો પણ મેં ભાજપની ભાવનાઓનું સમ્માન કર્યું. જ્યારે ભાજપ વિરુદ્ધ માહોલ હતો એવા અંધારામાં પણ મેં ભાજપને સાથ આપ્યો. તે વખતે જે વાત થઇ હતી તેના પર જ અમલ કરો.
શિવસેનાએ સામે ચાલીને કોંગ્રેસનો સંપર્ક કર્યો
ઠાકરેએ વધુમાં કહ્યું કે સોમવારે શિવસેનાએ કોંગ્રેસનો સંપર્ક કર્યો હતો. ભાજપનો આરોપ લગાવવો કે શિવસેના પહેલેથી જ એનસીપીનાં સંપર્કમાં હતી તે તદ્દન ખોટું છે. કોંગ્રેસ-એનસીપીની જેમ જ શિવસેનાને પણ કોમન મીનીમમ પ્રોગ્રામ માટે ચર્ચાની જરૂર છે.શિવસેના અધ્યક્ષે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ભાજપે મેહબુબા મુફ્તી સાથે સરકાર કઈ રીતે બનાવી. ઉલ્લેખનીય છે કે સોમવારે શિવસેના સમર્થન પત્ર બતાવવામાં નિષ્ફળ રહી હતી. ઠાકરેએ આરોપ લગાવ્યો કે ભાજપની સમયસીમા પૂરી થાય તે પહેલાં જ શિવસેનાને આમંત્રણ આપવામાં આવ્યું.