કોરોનાનો કહેર ઓછો થતાં જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે મહા વદ નોમના શુભ દિવસે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો ભવ્ય શુભારંભ થયો છે.
જૂનાગઢ શિવરાત્રી મેળાનો આજથી વિધિવત પ્રારંભ
શિવરાત્રી મેળાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મેળાને લઇને ગૃહ વિભાગની ખાસ તૈયારી
બમ બમ ભોલે... હર હર મહાદેવ હરના નાદ થી આજે સવારે ભવનાથ મંદિર ખાતે ધજાનું પૂજન તથા મહાદેવની પૂજા સાથે વિધિવત ભવનાથ મહાદેવ ને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સાથે મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ થયો હતો.
મહાશિવરાત્રીની ઉજવણી 1લી માર્ચ સુધી ચાલશે.
મહાશિવરાત્રીની ઉજવણી 25 ફેબ્રુઆરીથી લઇને 1લી માર્ચ સુધી ચાલશે. જેમાં લાખ્ખોની સંખ્યામાં મહાદેવ ભક્તો જોડાશે. ઉલ્લેખનીય છે કે, 2 વર્ષે પછી આ વખતે શિવરાત્રી મેળો યોજાઈ રહ્યો છે. લાખો લોકોની આસ્થા સમાં શિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતી હોય છે. ત્યારે મેળામાં ભાવિકોને કોઇ અડચણ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે વિવિધ 13 જેટલી સમિતિની રચનાઓ કરવામાં આવી છે.
મેળાને લઇને ગૃહ વિભાગની ખાસ તૈયારી
તેમજ આજથી તળેટી વિસ્તારમાં 100થી વધુ અન્નક્ષેત્ર ધમધમતા થશે.આ સાથે જ અન્નક્ષેત્રો, ઉતારા મંડળો ધમધમતા થશે. ચારો તરફ શિવના નારા પણ ગુંજવા લાગશે. સાથે રાત્રિના ભજન, ભક્તિની પણ સરવાણી વહેશે. આ વર્ષે અગાઉના વર્ષો કરતા વધુ ભાવિકો ઉમટી પડશે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે. ત્યારે આવનાર ભાવિકોની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઇ છે.