મધ્ય પ્રદેશમાં ભાજપે નવી સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આજે ભાજપના ધારાસભ્યોની એક બેઠક બોલાવાઇ છે, તેમાં વિરોધ પક્ષના નેતા ગોપાલ ભાર્ગવના રાજીનામા બાદ નવા નેતાની પસંદગી કરાશે. કેન્દ્રીય નેતૃત્વએ ધારાસભ્યોની બેઠક માટે ધર્મેન્દ્ર પ્રધાન અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. વિનય સહબસ્રબુદ્ધેને સુપરવાઇઝર નિયુક્ત કર્યા છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ શિવરાજસિંહ ચૌહાણ આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રી પદના શપથ લે તેવી શક્યતા છે.
મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાની કવાયત શરૂ
શિવરાજસિંહનનું CM બનવું લગભગ નક્કી
કમલનાથની સરકાર પાડી દેનારા ર૧ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ
શક્યતા એવી છે કે કેન્દ્રીય સુપરવાઇઝર હાઇકમાન્ડ દ્વારા નક્કી કરાયેલા નેતાના નામ પર આ બેઠકમાં સિક્કો લાગશે. ત્યારબાદ ધારાસભ્યોની ટીમના નેતા રાજ્યપાલ લાલજી ટંડન સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પહેલાં શનિવારે બોલાવાઇ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોનાની વધતી અસર અને રવિવારે જનતા કરફયુના કારણે આ બેઠક ટાળી દેવાઇ હતી.
પક્ષની રણનીતિ મુજબ બધું ઠીકઠાક રહ્યું તો રપ માર્ચે નવી સરકાર શપથ ગ્રહણ કરી શકે છે. આ દિવસથી નવરાત્રિ પૂજાની શરૂઆત પણ થઇ રહી છે. મધ્યપ્રદેશમાં ભાજપના આગામી નવા મુખ્યપ્રધાન કોણ હશે તેને લઇ અટકળો પણ શરૂ થઇ ગઇ છે. મુખ્યપ્રધાન તરીકે સૌથી પહેલાં શિવરાજસિંહ ચૌહાણનું નામ ચાલી રહ્યું છે.
પક્ષના નેતાઓની વાત માનીએ તો શિવરાજ જ મધ્યપ્રદેશમાં ર૪ બેઠકો પર થતી ચૂંટણીમાં ભાજપની નૈયા પાર લગાવી શકે છે. આ જ કારણ છે, અત્યારે સીએમની રેસમાં તેઓ સૌથી આગળ છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાનું સમર્થન ચૌહાણની સાથે રહેશે. કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરનું નામ પણ પાર્ટીમાં ચર્ચાઇ રહ્યું છે.
કમલનાથની સરકાર પાડી દેનારા ર૧ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ
મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કોંગ્રેસના બળવાખોર ર૧ પૂર્વ ધારાસભ્યોએ શનિવારે દિલ્હીમાં ભાજપની સભ્યતા ગ્રહણ કરી લીધી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ તમામને સભ્યતાના શપથ લેવડાવ્યા. આ પહેલાં આ દરેકે અગાઉ ભાજપનો હાથ પકડી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી.
ભાજપ પ્રમુખ જે પી નડ્ડાના આવાસ પર થયેલા આ કાર્યક્રમથી થોડા સમય પહેલાં તમામ પૂર્વ ધારાભ્યોને વિશેષ વિમાન દ્વારા દિલ્હી લવાયા હતા. બેંગલુરુથી જ ધારાસભ્યપદેથી રાજીનામું આપનાર આ નેતાઓમાં ૧૮ જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે. જ્યારે ચારે કમલનાથ સરકારથી નારાજ થઇ રાજીનામું આપ્યું હતું, તેમાં વરિષ્ઠ ધારાસભ્ય બિસાહુલાલ સિંહે પહેલાં જ ભાજપની સભ્યતા ગ્રહણ કરી લીધી હતી. કાર્યક્રમમાં હાજર રહેલા સિંધિયાએ તમામ પૂર્વ ધારાસભ્યોનો નડ્ડા સાથે પરિચય કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ તમામ પૂર્વ ધારાસભ્યો છેલ્લા ૧ર દિવસથી બેંગલુરુની એક હોટલમાં રોકાયા હતા. આ રર ધારાસભ્યોના રાજીનામાના કારણે જ પ્રદેશની ૧ર મહિના જૂની કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઇ હતી. શુક્રવારે મુખ્યપ્રધાન કમલનાથે રાજ્યપાલ લાલજી ટંડનને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.