કર્ણાટકમાં કુમાર સ્વામીની સરકાર પડી ગયા બાદ મધ્ય પ્રદેશની કમલનાથ સરકારની ધડકન વધી ગઇ છે. મંગળવારે સાંજે કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ગયા બાદ મોડી રાત્રે મધ્યપ્રદેશ ભાજપ તરફથી પહેલી પ્રતિક્રિયા આવી હતી. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે હવે ટૂક સમયમાં જ પ્રદેશમાં રાજકીય ગરમાવો જોવા મળશે.
જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કમલનાથ સરકારને લઇને નિવેદન આપ્યું હતું. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે જો મધ્યપ્રદેશમાં કાંઇપણ થાય તો તેમાં અમે કાંઇ કરી શકીશું નહીં. જો કે કમલનાથ સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા જીતુ પટવારીએ પલટવાર કરતાં કહ્યું હતું કે આ સરકારને ઉથલાવવા સાત જન્મ લેવા પડશે.
મધ્યપ્રદેશમાં સરકાર પડી જાય તો અમે જવાબદાર નહીંઃ શિવરાજસિંહ ચૌહાણ
કર્ણાટક સરકાર પડયાં બાદ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે અમે અહીં (મધ્ય પ્રદેશ) સરકાર પડી જવાનું કારણ નહીં બનીએ. કોંગ્રેસના નેતા પોતે જ સરકારના પતનના જવાબદાર હશે. કોંગ્રેસ પાર્ટીની અંદર આતંરિક કલશ ચાલી રહ્યો છે, તેને બસપાનું સમર્થન પ્રાપ્ત છે, જો કાંઇ પણ થાય તો તેમાં અમે કાંઇ કરી નહીં શકીએ.
મધ્યપ્રદેશ સરકાર પોતાનું પિંડદાન કરાવશે
મધ્યપ્રદેશ વિધાનસભાના વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે કહ્યું છે કે મધ્ય પ્રદેશમાં સરકાર જલ્દી જ પોતાનું પિંડદાન કરાવશે. તેમને કહ્યું લંગડી સરકારનું આવું જ થાય. હવે કર્ણાટકમાં સારો વિકાસ જોવા મળશે. ખેડૂતો સાથે છળકપટ કરી મધ્યપ્રદેશમાં મત લઇ લેવામાં આવ્યાં.
અમારી સરકાર પાડવા સાત જન્મ લેવા પડશે
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નિવેદન પર કમલનાથ સરકારના મંત્રી અને કોંગ્રેસના નેતા જીતુ પટવારીએ પલટવાર કર્યો હતો. જીતુ પટવારીએ કહ્યું કે ભાજપે અમારી માટે સમસ્યા ઉભી કરવા બધુ કર્યું છે. પરંતુ આ કમલનાથની સરકાર છે, કુમારસ્વામીની નહીં. આ સરકારને પાડવા સાત જન્મ લેવા પડશે.