એક વાર ફરી અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચેની નારાજગી સામે આવી છે.
જે પણ બીજેપીમાં ભળશે તે સપામાં નહીં રહે : અખિલેશ યાદવ
જો હું ખોટો છું તો તમે મને કાઢી કેમ નથી મૂકતા : શિવપાલ
ટૂંક સમયમાં શિવપાલ આઝમ ખાનને પણ મળશે
અખિલેશે જણાવ્યું કે, 'જે પણ બીજેપીમાં ભળશે તે સપામાં નહીં રહે.' ત્યારે આ બાબતને લઇને શિવપાલે કહ્યું કે, 'જો હું ખોટો છું તો તમે મને કાઢી કેમ નથી મૂકતા.' ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદથી જ કાકા શિવપાલ યાદવ અને ભત્રીજા અખિલેશ યાદવ વચ્ચેની ખેંચતાણ ખુલ્લેઆમ સામે આવી છે. તાજેતરમાં જ અખિલેશ યાદવે એમ કહ્યું હતું કે, 'જે પણ ભાજપમાં ભળશે તે સપામાં નહીં રહે, તો બીજી તરફ શિવપાલ યાદવે એમ કહ્યું કે જો અખિલેશને લાગતું હોય કે હું ભાજપના સંપર્કમાં છું તો તે મને ધારાસભામાંથી કાઢી કેમ નથી મૂકતા.' આ સાથે તેઓએ ફરી એક વાર પોતાની આગળની રણનીતિ વિશે જણાવ્યું કે, 'સમય આવશે ત્યારે તેઓ બધું જ જણાવશે.'
શિવપાલ યાદવના પ્રહાર
એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરતાં શિવપાલ યાદવે જણાવ્યું કે, 'જો અખિલેશને લાગે છે કે હું ખોટો છું તો મને વિધાનમંડળ પક્ષમાંથી બહાર કાઢી મૂકે. તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા પરંતુ તેમને સપાના ધારાસભ્યોની બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. હું સપાના 111 ધારાસભ્યોમાંથી એક છું.' આ સાથે શિવપાલે એમ પણ કહ્યું કે 'તેઓ ટૂંક સમયમાં આઝમ ખાનને પણ મળશે. આઝમ સાથે ખોટું થઈ રહ્યું છે અને અખિલેશે તેમના માટે કંઈ કર્યું નથી.'
અખિલેશે કહ્યું, 'જે લોકો ભાજપ સાથે છે તેઓ સપામાં નથી'
બીજી તરફ, જ્યારે શિવપાલ યાદવને ભાજપમાં જોડાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ એ વાતને ના તો નકારી કાઢી અને ના તો સ્વીકાર કર્યો. તેઓએ કહ્યું કે, તેઓ યોગ્ય સમયે તેનો જવાબ આપશે. આ સાથે તેમણે યુનિફોર્મ સિવિલ કોડના નિવેદન પર તટસ્થ રહીને તેનું સમર્થન કર્યું હતું. શિવપાલ યાદવ વિશે એવાં ઘણા સમાચાર વહેતા થયા છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. જો કે આ અંગે તેમની તરફથી કોઈ જ સ્પષ્ટ જવાબ નથી આવ્યો, પરંતુ અખિલેશે બુધવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'જે ભાજપમાં ભળશે તે સપામાં નહીં રહે.'