ભારતનું એક પણ શહેર એવું નહીં હોય જ્યાં કોઈ શિવ મંદિર ન હોય. આ મંદિરોમાં ઘણા એવા પણ છે જેની સાથે કોઈને કોઈ ચમત્કાર જોડાયેલ હોય છે. આવું જ એક મંદિર એટલે અચલેશ્વર મહાદેવનું મંદિર. રાજસ્થાનના ધૌલપુરમાં આવેલ અચલેશ્વર મહાદેવ સ્વયંભુ શિવ લિંગ છે. જે લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. તેનું કારણ છે આ મંદિરની કેટલીક ખાસિયતો જે તેને બીજા શિવ મંદિર કરતા બીલકુલ અલગ પાડે છે.
રાજસ્થાનમાં ઘૌલપુર નામનો જિલ્લો છે. જે પોતાના વિરાન જંગલોને લીધે પ્રખ્યાત છે. આ જ વેરાન જંગલી વિસ્તાર વચ્ચે આવેલું છે ભગવાન ભોળેનાથનું અચલેશ્વર મંદિર
મંદિર વેરાન જંગલી વિસ્તાર વચ્ચે હોવાથી અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ ખૂબ જ દુર્ગમ અને જંગલી છે. જોકે ભોળેનાથના ભક્તોના મનના નિર્ધારને આ ખતરાઓથી ભરેલ રસ્તો પણ રોકી શકતો નથી. દરેક મુશ્કેલી અને ડરને દૂર કરીને ભક્તો અહીં સુધી પહોંચે છે.
કહેવાય છે કે આ મંદિરની સ્થિત શિવલિંગ દિવસમાં ત્રણ વખત રંગ બદલાય છે. સવારના સમયે આ શિવલિંગ સૂર્યની લાલીમાં જેવું લાલ બપોરના સમયે કેસરીયું અને સાંજના સમયે શ્યામ રંગનું થઈ જાય છે. જોકે હજુ સુધી આમ થવા પાછળનું કારણ કોઈ શોધી શક્યા નથી.
વર્ષો પહેલા આ મંદિર સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીને હળવી કરવા માટે કેટલાક ભક્તોએ આ સ્વયંભૂ લિંગને અન્યત્ર શિફ્ટ કરવાના ઇરાદે ખોદવાનું શરું કર્યું હતું. પરંતુ તેમણે આ ખોદાકામ વચ્ચે જ અટકાવવાની ફરજ પડી હતી. કેમ કે જેમ જેમ તેઓ ખોદતા ગયા તેમ તેમ શિવલિંગનો ઉંડુ હોવાની ખબર પડતી ગઈ. શિવલિંગનો કોઈ બીજો છેડો જ નહોતો મળતો. શિવનો આ ચમત્કાર જોઈ ભક્તોએ પોતાની આગ્રહ પડતો મુક્યો.
મનગમતો જીવનાસાથી મેળવવા માટે શ્રાવણના સોમવારનું વ્રત કુંવારા લોકોમાં ખૂબ પ્રચલિત છે. તે જ રીતે માનવામાં આવે છે કે અચલેશ્વર મહાદેવનું આ મંદિર કુંવારા લગ્નેચ્છુક વ્યક્તિઓ માટે ખૂબ ફળદાયી છે. દરવર્ષે અહીં ખૂબ મોટી સંખ્યામાં જેમના લગ્ન ન થતા હોય તેવા હજારો યુવાન-યુવતીઓ પહોંચે છે.