શિવસેનાના મુખપત્ર સામનાના એડિટોરિયલમાં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે વેબસીરીઝની વિરુદ્ધમાં અવાજ ઉઠાવનારું ભાજપ શું કથિત રૂપે ભારત માતાનું અપમાન કરનાર અર્ણબ ગોસ્વામીની સામે તાંડવ શું કામ નથી કરી રહ્યું ?
શિવસેનાએ સામનામાં કર્યા પ્રહાર
ભાજપની પર ઉઠાવ્યા ગંભીર સવાલો
અર્ણબ ગોસ્વામીને લઈને કર્યા સવાલ
રિપબ્લિક ટીવીના એડિટર અર્ણબ ગોસ્વામી અને બીએઆરસીના પૂર્વ પ્રમુખ પાર્થો દાસગુપ્તાની કથિત રીતે લીક થયેલી ચેટને લઈને શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યું છે અને પાર્ટીએ તેના મુખપત્ર સામનામાં લખ્યું છે કે ભાજપના નેતાઓએ વેબસીરીઝ તાંડવની સામગ્રીને લઈને તેના નિર્માતાઓની સામે કેસ કર્યો, પરંતુ જો તેનામાં હકીકતે હિંમત છે તો ભારતીય સૈનિકોની શહાદતનું અપમાન કરવા વાળા અર્ણબ ગોસ્વામીની સામે ફરિયાદ દાખલ કરે.
અર્ણબ ગોસ્વામી અને પાર્થો દાસગુપ્તાની કથિત ચેટ લીક થઈ છે
મહારાષ્ટ્રની ગઠબંધન સરકારની પ્રમુખ પાર્ટી શિવસેનાએ આરોપ લગાવ્યો હતો કે કોઈની પાસે 100 ગ્રામ ગાંજો મળવા માત્ર પર હડકંપ મચાવનારી મીડિયા અર્ણબની કથિત દેશદ્રોહના મામલે ચર્ચા કરવા પણ તૈયાર નથી. મહત્વનું છે કે અર્ણબ ગોસ્વામી અને પાર્થો દાસગુપ્તાની લીક થયેલી ચેટને લઈને સામનામાં આ લેખ લખવામાં આવ્યો છે.
મહત્વનું છે કે આ કથિત લીક ચેટથી એવું જાણવા મળે છે કે 26 ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકની અર્ણબને પહેલાથી જ જાણકારી હતી, આ મામલે શિવસેનાએ ભાજપ પર આકરા પ્રહારો કરીને કહ્યું હતું કે સરકારે આ મામલે સત્યને દેશની જનતાની સામે લાવવું જોઈએ.
શિવસેનાએ ઉઠાવ્યા સવાલો
શિવસેનાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું અમારા 40 જવાનોની હત્યા માત્ર લોકસભાની ચૂંટણી જીતવા માટે કરવામાં આવી હતી? શું આ એક રાજનીતિક ષડયંત્રનો ભાગ હતી? આને લઈને સામનામાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ વાતચીત સામે આવ્યા પછી આ આરોપોને લઈને શંકા દ્રઢ બની રહી છે.