શુક્રવારે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થશે. પરંતુ કોંગ્રેસ અને ભાજપની નજર નાના પક્ષો પર મંડાયેલી છે. કારણકે અવિશ્વાસના પ્રસ્તાવના બહાને મહાગઠબંધનના દાવાનું પણ શક્તિ પરિક્ષણ થઇ જશે. એટલે પોતાના વધેલા કદનો રાજકીય ફાયદો ઉઠાવવા માટે નાના પક્ષો પણ રણનીતિ ગોઠવી રહ્યા છે. ત્યારે કયો પક્ષ સરકારની સાથે રહેશે અને કોણ અવિશ્વાસના પ્રસ્તાવને સમર્થન આપશે જોઇએ આ અહેવાલમાં.
લોકસભામાં સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યા બાદ જોડતોડના રાજકારણે જોર પકડયું છે. પોતાના સમર્થનમાં મત અપાવવા માટે સાંસદોને સંકેલવા સત્તા પક્ષ અને વિરોધ પક્ષમાં સળવળાટ વ્યાપી ગયો. એટલે નાના પક્ષો પણ અવિશ્વાસના પ્રસ્તાવને પોતાનો રાજકીય હિત માટેની સુવર્ણ તક સમજી રહ્યા છે.
ટીડીપી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળવાથી નારાજ છે. એટલે જ તેઓ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા. અને પોતાના સાંસદોને લોકસભામાં હાજર રહેવા વ્હીપ જાહેર કરી દિધો. સાથે જ ચંદ્રાબાબુ નાયડુએ તમામ સાંસદો પાસે પણ સમર્થનની માગણી કરી છે.
તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ કહ્યું કે AIADMK અવિશ્વાસના પ્રસ્તાવને સમર્થન નહી કરે કારણકે કાવેરી જળ વિવાદ પર વિપક્ષોએ તેમને સહકાર નહોતો આપ્યો. તો ભાજપના સાથે રહીને પણ વિરોધનો રાગ ગાતી શિવસેના પણ પ્રસ્તાવના વિરુદ્ધમાં મત આપી શકે છે. થોડા દિવસ પહેલા જ અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઇમાં મુલાકાત કરી હતી. પરંતુ ગઠબંધન પર કોઇ જ સમાધાન નહોતો થયો. છતાં શિવસેનાએ વ્હિપ જાહેર કરીને 18 સાંસદોને સંસદમાં હાજર રહેવા ફરમાન આપી દિધુ. એટલે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા સમયે તેના સાંસદો ગેરહાજર રહેવાની સંભાવના પર હાલ પૂર્વવિરામ લાગી ગયું છે. તો ભાજપના શોટગન શત્રુઘ્ન સિંહાએ પણ સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અવિશ્વાસ પ્રસ્તાવની સાથે છે. તેમણે ટીએમસીના સાંસદોને વ્હીપ જાહેર કરી દિધો છે. તો બીજૂ જનતા દળ એટલે કે બીજેડી પણ અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં આવશે. તેલંગાણાની પાર્ટી ટીઆરએસ ભાજપ અને કોંગ્રેસ સિવાયના પક્ષોનો મોરચો બનાવવાના પ્રયાસમાં છે. પરંતુ અવિશ્વાસના પ્રસ્તાવ પર તે સરકારને સાથ આપી શકે છે. એટલે સાંસદોની ખેંચતાણ વચ્ચે ભાજપ અને કોંગ્રેસમાં શાબ્દીક ટપાટપી પણ જોવા મળી.
સોનિયા ગાંધી વિપક્ષોના સમર્થન માટે બેઠકોના દોરનો આરંભ કરી દિધો છે. તો ભાજપ હાઇકમાન્ડ પણ રણનીતિ ગોઠવવામાં લાગી ગયા. શુક્રવારે અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થશે. ત્યારે સરકારના શક્તિ પરિક્ષણની સાથે મહાગઠબંધનના દાવા અને વિપક્ષની હકિકત પણ દેશ સામે આવશે. બસ હવે ગણતરીના કલાકોની જ વાર છે.