ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઇને શિવસેના નેતા સંજય રાઉતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને જવાબદાર ગણાવી છે. તેઓએ કેન્દ્ર સરકારને કોરોના વાયરસ વિરુદ્ધ લડવામાં નિષ્ફળ બતાવતા કહ્યું કે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે રાજ્યો પર જવાબદારી નાંખી રહી છે, જે ખોટુ છે.
કોરોના સંકટ માટે સંજય રાઉતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને જવાબદાર ગણાવી
સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે રાજ્યો પર જવાબદારી નાંખી રહી છે, જે ખોટુ છે : સંજય રાઉત
સામનામાં લખેલા એક લેખમાં સંજય રાઉતે કહ્યું, ગુજરાતમાં કોરોના ફેલાવાનું સૌથી મોટુ કારણ અમદાવાદમાં આયોજિત 'નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામ' છે. આ કાર્યક્રમમાં લાખો લોકોએ ભાગ લીધી હતો. રાઉતે લખ્યું કે, ટ્રમ્પના પ્રોગ્રામમાં હાજરી આપવા ઘણા ડેલિગેટ્સ ભારત આવ્યા હતા, જે બાદમાં મુંબઇ અને દિલ્હી ગયા હતા. જેના કારણે આ શહેરોમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે, તેનાથી ઇનકાર ન કરી શકાય.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 2940 નવા કેસ
મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 2940 નવા કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં 99 લોકોના મોત થયા છે. રાજ્યોમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 65,168 પર પહોંચી ગઇ છે. જ્યારે કુલ 2197 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં સામાન્ય જનતા ઉપરાંત પોલીસ કર્મચારીઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. 24 કલાકમાં 114 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે એક પોલીસ કર્મચારીનું મોત થયું છે.
નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીએ પીએમ મોદીની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં એક રોડ-શોમાં ભાગ લીધો હતો. જેમા હજારો લોકો સામેલ થયા હતા. રોડ-શો બાદ બંને દેશોના નેતાઓએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ) દ્વારા સંચાલિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખ લોકોની જનસંખ્યાને સંબોધિત કર્યા હતા.