કોંગ્રેસની અંદર ચાલી રહેલા જોરદાર ઘમાસાણની વચ્ચે શિવસેનાએ પણ પાર્ટી પર જોરદાર હુમલો કર્યો છે.
કોંગ્રેસમાં જોરદાર સંકટ
પાર્ટીની અંદર બહારથી જોરદાર હુમલા
હવે સાથી પાર્ટી શિવસેનાએ સાધ્યું નિશાન
શિવસેનાએ કોંગ્રેસને આપી શિખામણ
કોંગ્રેસમાં ત્યારે જોરદાર સંકટ ચાલી રહ્યું છે, સૌથી મોટું સંકટ છે પંજાબમાં. પંજાબમાં રાહુલ ગાંધીએ મોટો નિર્ણય લઈને મુખ્યમંત્રી બદલી નાંખ્યા પણ આ દાવ હવે પાર્ટી પર ઊંધો પડી રહ્યો છે. દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ અમરિન્દરસિંઘ હવે પાર્ટી છોડી રહ્યા છે ત્યાં બીજી તરફ સિદ્ધુએ નવા નવા મુખ્યમંત્રી સાથે પણ ઝઘડો કરી લીધો અને ત્યાં જબરદસ્ત ઘમાસાણ ચાલી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ હવે ખૂલીને સામે આવ્યા છે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં સાથે મળીને સરકાર ચાલવી રહેલ શિવસેનાએ પણ કોંગ્રેસની ક્લાસ લગાવી છે.
કોંગ્રેસ બીમાર પાર્ટી છે, બકવાસ કરનારા નેતાઓ છે: શિવસેના
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે કોંગ્રેસમાં એક અધ્યક્ષની જરૂર છે. માથા વગરનાં ધડનું શું કામ? કોંગ્રેસ બીમાર છે અને તેને સારવારની જરૂર છે. પણ સારવાર સારી રીતે થઈ રહી છે કે નહીં તેનું ધ્યાન રાખવાની પણ જરૂર છે. શિવસેનાએ કહ્યું કે જૂનાં દિગ્ગજ નેતાઓ જે માંગ કરી રહ્યા છે તે ખોટી નથી, કોંગ્રેસ પાર્ટીમાં નેતા કોણ છે તે એક મોટો સવાલ છે. ગાંધી પરિવાર છે, પણ નેતા કોણ છે? અધ્યક્ષ કોણ છે? આ વિશે સ્પષ્ટતા કરવાની જરૂર છે.
શિવસેનાએ કહ્યું કે કોંગ્રેસમાં બકવાસ કરનારા નેતાઓની અછત નથી. સિદ્ધુ જેવા બહારનાં લોકો પર વિશ્વાસ કરવાની જરૂર જ ન હતી.
પંજાબમાં પાવર પોલિટીક્સ
કોંગ્રેસની હાલત એક ઠારવા જતાં બીજું સળગે તેવી છે. પંજાબમાં માંડ હાશકારો થયો હતો ત્યાં સિદ્ધુએ સંગ્રામ શરૂ કર્યો અને પંજાબનો કકળાટ હતો તેનાથી વધુ વકર્યો, તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસની હાલત ઉકળતા ચરૂ જેવી છે. જ્યાં ગમે તે ઘડીએ નવાજૂની થઈ શકે છે, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ સ્ફોટક પરિસ્થિતી જોવા મળી રહી છે. જે પંજાબની માફક કોંગ્રેસના ઘરને કલુષિત કરી શકે છે.