શિવસેનાએ અર્ણબ ગોસ્વામી ચેટ લીક કેસમાં ભાજપ પર સવાલ ઉઠાવતા એક ગંભીર આરોપ લગાવ્યો છે. શિવસેનાએ સામનામાં મોટો આરોપ લગાવતાં લખ્યું કે એક તો 'પુલવામા'માં આપણા સૈનિકોની હત્યા એક દેશદ્રોહી રાજકીય ષડયંત્ર હતું.
લોકસભા ચૂંટણી જીતવા માટે આ 40 જવાનોનું લોહી રેડવામાં આવ્યું, આવા આરોપ જે તે સમયે લાગ્યાં હતા. હવે અર્ણબ ગોસ્વામીની જે વ્હોટસએપ ચેટ બહાર આવી છે, તે જૂના આરોપોને સમર્થન આપતું હોય તેવું દેખાઇ રહ્યું છે.
શિવસેનાએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના સંબંધિત ઘણી ગુપ્ત વાતો ગોસ્વામીએ સાર્વજનિક કરી દીધી, જેના પર ભાજપ 'તાંડવ' કેમ નથી કરતી? ચીને લદ્દાખમાં ઘૂસણખોરી કરી ભારતની જમીન પર કબ્જો કરી લીધો. ચીન પાછળ હટવા તૈયાર નથી, તેના પર 'તાંડવ' કેમ નથી કરવામાં આવતું ?
ગોસ્વામીને ગુપ્ત જાણકારી આપી રાષ્ટ્રીય સુરક્ષાની લીરેલીરા ઉડાવનાર અસલમાં કોણ હતું, જરા સામે આવવા દો! ગોસ્વામી દ્વારા 40 જવાનોની હત્યા પર આનંદ વ્યક્ત કરવું, આ દેશ, દેવ અને ધર્મનું અપમાન છે.
અર્નબ પર તાંડવ ક્યારે થશે
સામનામાં ભાજપને આડે હાથ લેતાં લખ્યું છે કે જો ભાજપ 'તાંડવ'નો વિરોધમાં ઉભી છે, ત્યારે ભારત માતાનું અપમાન કરનારા તે અર્નબ ગોસ્વામીના સંબંધમાં મોં પર આંગળી રાખી ચુપ કેમ બેઠી છે? ભારતના સૈનિકોની શહીદીનું અપમાન જેટલું ગોસ્વામીએ કર્યું છે, તેટલું જ અપમાન પાકિસ્તાનીઓએ પણ કર્યું નથી.
કોંગ્રેસે પણ કરી તપાસની માગ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એકે એંટની સહિત સુશીલ કુમાર શિંદે, સલમાન ખુર્શીદ અને ગુલામનબી આઝાદે પણ શુક્રવારના રોજ પત્રકાર પરિષદમાં આ મામલે તપાસ કરાવા તેમજ 'સરકારી ગુપ્તતા અધિનિયમ 'ના હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ આખા મામલાને દેશદ્રોહ બતાવતા કોંગ્રેસ નેતાઓએ આ મુદ્દાને સંસદ સત્ર દરિયમાન ઉઠાવવાના પણ સંકેત આપ્યાં છે. આ પ્રકરણમાં જે હકીકત છે, તેને સરકારે બહાર લાવવી જોઇએ.