સુપ્રીમની રાહત બાદ હવે શિવસેનાની બાગી છાવણી ગમે ત્યારે એમવીએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી શકે છે અને તેને માટે તૈયારીઓ પણ શરુ થઈ છે.
મહારાષ્ટ્રમાં હવે ગમે ત્યારે સરકારના પતનની જાહેરાત
શિંદે છાવણી એમવીએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી શકે છે
શિંદે છાવણીએ રાજ્યપાલને મળવાની કરી તૈયારી
મહારાષ્ટ્રમાં હવે સરકારના પતનનો ખેલ શરુ થયો છે. સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને 11 જુલાઈ સુધી રાહત આપી દેતા હવે રાજ્યમાં ગમે ત્યારે એમવીએ સરકારનું પતન થઈ શકે છે. સુપ્રીમની રાહત બાદ શિંદે છાવણી ટૂંક સમયમાં રાજ્યપાલને મળીને એમવીએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી શકે છે. આ માટે શિંદે છાવણી રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત પણ કરી શકે છે.
શિંદે છાવણી રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળી શકે
એકનાથ શિંદેની આગેવાની વાળી શિવસેનાની બાગી છાવણી હવે ગમે ત્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળીને એમવીએ સરકારમાંથી ગઠબંધન પાછું ખેંચવાની જાહેરાત કરી શકે છે. જો આવું થાય તો રાજ્યપાલ ઉદ્ધવ સરકારને બહુમતી સાબિત કરવાનું કહેશે અને ઉદ્ધવ સરકાર પાસે બહુમતી ન હોવાથી તેનું પતન થઈ જશે.
સુપ્રીમ કોર્ટે શિંદે છાવણીને આપી મોટી રાહત
મહારાષ્ટ્ર રાજકીય સંકટમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો છે. શિવસેનાના બાગી જૂથની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમની ગેરલાયકતાની અરજી 11 જુલાઈ સુધી મોકૂફ કરી દીધી છે એટલે હવે ડેપ્યુટી સ્પીકર 11 જુલાઈ સુધી બાગી ધારાસભ્યોને અયોગ્ય નહીં ઠેરવી શકે. સુપ્રીમે મહારાષ્ટ્ર સરકારને તમામ ધારાસભ્યોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ અને તમામ 39 ધારાસભ્યોના જીવન અને સ્વતંત્રતાની રક્ષા માટે પર્યાપ્ત પગલાં લેવા જોઈએ. તેમની સંપત્તિને કોઈ નુકસાન થયું નથી.
કંઈ પણ ખોટું થતું લાગે તો આવજો કોર્ટમાં- સુપ્રીમે શિંદે જૂથને કહ્યું
અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની ખંડપીઠે શિંદે છાવણીને એવું પણ કહ્યું કે જો ફ્લોર ટેસ્ટ દરમિયાન તેમને કંઈ પણ અજુગતું લાગે તો તેઓ બેધડક કોર્ટમાં ચાલ્યા આવે. કોર્ટ તેમની વાત સાંભળશે.
બાગી જૂથ 11 જુલાઈ સુધી દાખલ કરી શકશે જવાબ
સુપ્રીમે વચગાળાનો એક આદેશ આપતા એકનાથ શિદે અને બાગી ધારાસભ્યોને 11 જુલાઈ સુધી તેમનો જવાબ રજૂ કરવાની મંજૂરી આપી છે. ફડણવીસના ઘેર ભાજપની મોટી બેઠક
બીજી તરફ ભાજપે પણ સરકાર રચવાની કવાયત શરુ કરી દીધી છે. સોમવારે સાંજના 5 વાગ્યે પૂર્વ સીએમ અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસના ઘેર એક મોટી બેઠક મળવા જઈ રહી છે તેમાં સરકારની રચનાને લઈને નિર્ણય લેવાઈ શકે છે.