નવી દિલ્હીઃ અલાહાબાદ બાદ હવે હિમાચલ પ્રદેશ સરકાર હવે શિમલા શહેરનું નામ બદલી શકે છે. મળતી માહિતી મુજબ શિમલાનું નામ બદલીને શ્યામલા કરવાની વિચારણા ચાલી રહી છે. હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે. ઉત્તરપ્રદેશમાં હાલમાં જ અલાહાબાદ શહેરનું નામ બદલીને પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું. ત્યારે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે અંગ્રેજો આવ્યા તે પહેલા શિમલાનું નામ શ્યામલા હતું. હવે જુનુ નામ પરત લાવવા માટે હિમાચલ પ્રદેશની સરકાર લોકો પાસેથી અભિપ્રાય લશે.
આવા સમયે હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી વિપીન સિંહે નિવેદન આપ્યું છે કે પૈરાણિક આધરે નામ રાખવામાં કાંઇ ખોટુ નથી. જો કે વર્ષ 1864માં અંગ્રેજોએ શિમલા શહેર વસાવ્યું હતું. તેને ઉનાળા સમયની રાજધાનીનો અંગ્રેજોએ દરજ્જો આપ્યો હતો. પરંતુ શિમલાનું નામ બદલવાના વિરોધમાં કોંગ્રેસ આવી છે. હિમાચલ કોંગ્રેસના નેતાનું કહેવું છે કે સરકારે નામ બદલવાના બદલે લોકોની સમસ્યા અને વિકાસ પર ધ્યાન આપવું જોઇએ.
મહત્વનું છે કે વિશ્વ હિન્દુ પરિષદ પણ છેલ્લા કેટલાય વર્ષોથી શિમલાનું નામ બદવાની માંગ કરી રહ્યું છે. આ પહેલા વર્ષ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી વીરભદ્રસિંહે આ માગને ઠુકરાવી દીધી હતી. કહ્યું હતું કે શિલમા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાની ઓળખ છે એટલા માટે તેને ન બદલી શકાય. વીએચપીના હિમાચલ પ્રદેશના અધ્યક્ષે કહ્યું કે ગુલામી શારીરિક માનસિક અને સાંસ્કૃતિક હોય છે અને અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ નામને ન બદલવું માનસિક ગુલામીનું પ્રતિક છે.