શિલ્પા શેટ્ટીનું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. દેશમાં એક પછી એક મહિલાઓ પર થતી જાતીય હિંસા અને હત્યાના કારણે બધાં જ પરેશાન છે, ત્યારે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ ઈન્સ્ટાગ્રામ દ્વારા આ સંદર્ભમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. શિલ્પાએ કહ્યું છે કે, બેટી બચાવો ફક્ત એક અભિયાન સુધી મર્યાદિત રાખી શકાય નહીં, પરંતુ તેનો અમલ પણ જરૂરી છે. ઈન્સ્ટાગ્રામ પર શિલ્પાએ અનેક અહેવાલોની ઝલક શેર કરી હતી, જેમાંથી એક સમાચાર ઉન્નાવ પીડિતા વિશે છે જેને આરોપી દ્વારા નિર્દયતાથી સળગાવી દેવામાં આવી હતી, અને બીજા સમાચાર પશ્ચિમ બંગાળના માલદામાં એક મહિલા પર કથિત બળાત્કાર અને હત્યા અંગે હતા.
શિલ્પા શેટ્ટી મહિલાઓ પર થતાં દુષ્કર્મથી ભડકી
સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો રોષ
શિલ્પાએ કહ્યું, મહિલાઓની સ્થિતિ અને ગૌરવ ખૂબ નિરાશાજનક છે
આ સમાચારો શેર કરતા અભિનેત્રીએ આપણાં દેશમાં મહિલાઓની અસુરક્ષા વિશે વાત કરી હતી, જેમાં દુષ્કર્મ પીડિતા સાથે ઉદાસીન વ્યવહાર કરવામાં આવે છે અને ગુનેગારો ખુલ્લેઆમ ફરતા હોય છે. શિલ્પા શેટ્ટીએ લખ્યું, 'આપણાં દેશમાં મહિલાઓની સ્થિતિ અને ગૌરવ ખૂબ નિરાશાજનક છે. છેલ્લાં થોડા સમયથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મોટાભાગની મહિલાઓ માટે દરરોજ બહાર નીકળવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે, એક સ્ત્રી તરીકે, બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ અને તેમના પરિવારો પ્રત્યે ઉદાસીન અને નિર્દય વલણ જોઈને ઘૃણા આવે છે. દરરોજ અખબારમાં એવું વાંચવું કે આરોપીને જામીન મળી ગયા છે અને તે બહાર છે આવું કેમ? શા માટે? જેથી તેને વધુ એક ગુનો કરવાનો મોકો મળી જાય. દરેક ઉંમરની મહિલાઓ સાથે જે રીતે નિર્દયતાથી કૃત્ય આચરવામાં આવે છે તેને જોઈને મારા રૂંવાડા ઊભા થઈ જાય છે. હું એક દીકરાની માતા છું, જેથી હું એ દર્દને એ હદ સુધી અનુભવી ન શકું, જે દરરોજ દીકરીઓની માતા અનુભવે છે.'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેની પોસ્ટમાં ટેગ કરતા શિલ્પા શેટ્ટીએ વધુમાં લખ્યું છે કે, '#બેટી બચાઓને માત્ર એક અભિયાન સુધી સીમિત રાખવું ન જોઈએ. હું તમારા પ્રશાસનને કડક કાયદાઓ લાગુ કરવા આગ્રહ કરું છું, જેનાથી ન માત્ર ભવિષ્યના ગુનેગારોને રોકવામાં આવે બલ્કે સુનાવણી હેઠળ રહેલાં ગુનેગારોને પણ સજા આપવામાં આવે, સાથે જ આ કાર્યવાહીઓને જલ્દી સમાપ્ત કરવાની જરૂર છે કારણ કે ન્યાયમાં વિલંબતા ન્યાન ન મળવા જેવું છે. જય હિંદ.