શ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેને દેશ છોડવાની ફરજ પડી હતી. રાજપક્ષે સવારે માલદીવ જવા રવાના થયા હતા ત્યાર પછી બપોરે સિંગાપોર જવા રવાના થયા હતા.
સવારે માલદીવ પહોચ્યા હતા અને ત્યાંથી સિંગાપોર રવાના થયા છે
શ્રીલંકામાં ચાલી રહેલા સંકટ અને વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે પરિવાર સાથે દેશ છોડીને આજે સવારે માલદીવથી રવાના થઈ ગયા હતા. હવે સમાચાર મળ્યા છે કે ગોતાબાયા રાજપક્ષે માલદીવથી સિંગાપોર માટે જવા રવાના થયા છે. સૂત્રોએ મહત્વની જાણકારી આપી છે. આ પહેલા શ્રીલંકાની વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે પોતાની પત્ની અને સુરક્ષા અધિકારીઓ સાથે સેનાના વિમાનમાં રવાના થયા હતા.
પત્ની અને સેનાના બે જવાન સાથે દેશ છોડયો
સેનાએ જણાવ્યું હતું કે સરકારની વિનંતી પર અને બંધારણ હેઠળ રાષ્ટ્રપતિને ઉપલબ્ધ સત્તાઓના સંદર્ભમાં સંરક્ષણ મંત્રાલયની મંજૂરી મેળવ્યા પછી રાષ્ટ્રપતિ રાજપક્ષે તેમની પત્ની અને બે સુરક્ષા અધિકારીઓને કટુનાઇકે આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી પ્રસ્થાન કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
લોકો રસ્તા પર ઉતરી આવ્યા
રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે એવા સમયે દેશ છોડીને ભાગી ગયા છે જ્યારે તેમની સરકારની ખોટી નીતિઓને કારણે શ્રીલંકામાં આર્થિક સંકટ વધુ ડૂબી ગયું છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજપક્ષે સિંગાપોરના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેઓએ લીલી ઝંડી પણ આપી દીધી છે.
ગોતાબાયા રાજપક્ષેને આશ્રય આપવા પર માલદીવમાં રોષ
માલદીવના મીડિયામાં એવા અહેવાલ પ્રગટ થયા હતા કે ગોતાબાયા રાજપક્ષે અહીં વધુ સમય સુધી રહી શકે તેમ નથી. માલદીવના મોટાભાગના રાજકીય પક્ષો શ્રીલંકાથી ભાગી ગયેલા રાષ્ટ્રપતિને આશ્રય આપવા બદલ રાષ્ટ્રપતિ સોલિહ અને સરકારથી નારાજ છે.
ધરપકડની શક્યતાઓ હતી
શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે દેશ છોડીને ચાલ્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. વાસ્તવમાં ગોતાબાયા રાજપક્ષેને ડર હતો કે નવી સરકારની રચના બાદ તેમની ધરપકડ કરવામાં આવશે. આ શક્યતા જોઈને તેઓ દેશ છોડીને ચાલ્યા ગયા.
રાજીનામું આપ્યા પહેલા દેશ છોડયો
શનિવારના રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન પર પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યા બાદ ગોતાબતા રાજપક્ષેએ જાહેરાત કરી હતી કે તેઓ 13 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દેશે. પરંતુ રાજીનામું આપતા પહેલા તેમણે દેશ છોડી દીધો હતો. રિપોર્ટ મુજબ ગોતાબાયા રાજપક્ષે સવારે 3 વાગે માલદીવની રાજધાની પહોંચ્યા હતા. આ સાથે જ સૂત્રોએ જણાવ્યું કે એરપોર્ટ પર માલદીવની સરકારના પ્રતિનિધિએ તેમનું સ્વાગત કર્યું હતું અને ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા હેઠળ અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા હતા.