છેલ્લા ઘણા દિવસથી ભારતીય ટીમના ધુરંધર બેટ્સમેન શિખર ધવન કાશીના પ્રવાસ પર હતા. આ દરમિયાન શિખર ધવને એવી ભૂલ કરી કે નાવડીના માલિકને ભોગવવું પડી રહ્યું છે.
શિખર ધવનની ભૂલ બોટ માલિક ભોગવી રહ્યો છે
બોટ ચાલકે ના પાડી છતાં કર્યુ આ કામ
બોટ પર લાગ્યો 3 દિવસનો પ્રતિબંધ
નાવડીની મજા લેતા દેખાયા ધવન
ધવને મંદિરોમાં પુજા કરી અને નાવડીમાં બેસીને આનંદ માણી રહ્યાં હતા પરંતુ કંઇક એવું થયુ જેના કારણે નાવડીના માલિકને ભોગવવું પડી રહ્યું છે.
બર્ડ ફ્લુના ખતરાને જોઇને પ્રસાશને પ્રવાસી પક્ષીઓને ચારો ખવડાવવાની મનાઇ કરેલી છે પરંતુ શિખર ધવને આદેશ વગર પક્ષીઓને ચારો ખવડાવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર ફોટો પણ અપલોડ કર્યો હતો. જેને લઇને કાર્યવાહી શિખર ધવન પર તો નહી પરંતુ નાવડીના માલિક અને નાવડી ચલાવનાર પર કરવામાં આવી હતી. તેની નાવડી પર ત્રણ દિવસની રોક લગાવી દીધી છે. સાથે જ કલમ 188 હેઠળ ચલાણ પણ કાપવામાં આવ્યું હતુ.
શિખર ધવન પર પણ કાર્યવાહી
હવે નાવિક માગ કરી રહ્યો છે કે જો કાયદો બરાબર જ છે તો શિખર ધવન પર પણ કાર્યવાહી થવી જોઇએ કારણકે નાવિક તરફથી શિખર ધવનને ચારો ન નાંખવા માટે ખુબ રોકવામાં આવ્યો હતો. નાવિક સોમુએ કહ્યું કે ધવન જ્યારે બોટમાં બેઠો ત્યારે જ તેણે ના પાડી દીધી હતી કે પક્ષીઓને દાણા ખવડાવવા નિયમ વિરુદ્ધ છે પરંતુ તેણે ધ્યાન ન આપ્યુ અને ગંગામાં વિહાર દરમિયાન જ પક્ષીઓને દાણા ખવડાવવા લાગ્યા.
બોટના માલિક પ્રદીપ સાહનીએ કહ્યું કે હાલ તેની બોટ પર ત્રણ દિવસ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેણે કહ્યું કે કાયદા કાનૂન દરેક માટે બરાબર છે તો માત્ર અમને જ કેમ દંડ આપવામાં આવી રહ્યો છે. કાર્યવાહી તો શીખર ધવન પર પણ થવી જોઇએ.