ભારતીય ક્રિકેટ ટીમનાં ધુરંધર બેટ્સમેન શિખર ધવન વારાણસી આવીને વિવાદમાં સપડાઈ ગયો. કાશીમાં નૌકા વિહાર દરમિયાન એવી હરકત કરી કે પ્રશાસને કરી આંખ લાલ.
કાશીમાં શિખરનો પક્ષીઓને દાણા ખવડાવતો ફોટો વાયરલ થયો
નૌકા વિહાર દરમિયાન શિખરે કર્યો નિયમોનું ઉલ્લંઘન
વારાણસી વહિવટી તંત્ર નૌકા સંચાલક પર કરી શકે છે કાર્યવાહી
પક્ષીને દાણા ખવડાવવા પડી શકે છે ભારે
બે દિવસ પહેલા શિખર ધવને કાશીમાં નૌકા વિહાર કરતી વખતે પક્ષીઓને દાણા ખવડાવ્યા જેને લઈને વારાણસીનું જિલ્લા વહિવટી તંત્ર શિખર વિરુદ્ધ કાર્યવાહી કરવાનાં મૂડમાં આવી ગઈ છે. શનિવારે શિખર ધવને સોશિયલ મીડિયા પર પક્ષીઓને દાણા ખવડાવતી તસવીર અપલોડ કરી હતી. જે તસવીર વાયરલ થતા જ વારાણસી વહિવટી તંત્રએ આ ઘટનાની નોંધ લીધી છે. વારાણસીનાં ડીમ કૌશલ રાજ શર્માએ નૌકા સંચાલક પર કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.
નાવિક પર કાર્યવાહી કરવાની તૈયારી શરૃ
ડીએમ કૌશલ રાજ શર્માએ જણાવ્યું કે, જે નૌકામાં શિખર ધવન સવાર હતો તે નાવિક પર કાર્યવાહી કરવામાં આવશે. ધવનને નિયમોની જાણકારી ના હોઈ શકે પણ નાવિકને નિયમોની માહિતી હતી. તેણે ધવનને માહિતગાર કરવો જોઈએ કે બર્ડ ફ્લૂને લીધે વિદેશી પક્ષીઓને દાણા ખવડાવવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. પણ શિખર ધવને જ્યારે સોશિયલ મીડિયા પર તેનો ફોટો અપલોડ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે નિયમનુ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
બર્ડ ફ્લુને લીધે દાણા ખવડાવવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે બર્ડ ફ્લુને લીધે ડીએમ કૌશલ રાજ શર્માએ 11 જાન્યુઆરીએ ગંગા નદીમાં આવતા પ્રવાસીઓને દાણા ખવડાવવા પર મનાઈ ફરમાવવાની જોગવાઈ કરીને નગર નિગમ અને જલ પોલીસને તેના પર વોચ રાખવાનાં નિર્દેશ આપ્યા હતા. ડીએમે દરેક બીડીઓ અને સચિવો ને મરઘા અને મટન વેચવાવાળા દુકાનદારો સાથે બેસીને તેમને જાગૃત કરવા તેમજ સાફ સફાઈ રાખવાની સાથે પશુ પક્ષીનાં સામુહિક મૃત્યુની સુચના તત્કાલિક પશુ ચિકિત્સા અધિકારીઓને આપવાનાં આદેશ આપ્યા હતા.
કાશીમાં શિખર જોવા મળ્યો ભક્તિનાં રંગમાં
કાશીનાં પ્રવાસ દરમિયાન શિખર ધવન સંપૂર્ણપણે ભક્તિનાં રંગમાં ડુબાયેલો જોવા મળ્યો હતો. શિખરે બાબા વિશ્વનાથનાં દર્શન પણ કર્યા અને વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં પણ સામેલ થયો હતો. તે દરમિયાન તેણે ઓળખ છુપાવવા માટે માસ્ક પણ લગાવી દીધુ હતું, તેમ છતાં લોકોએ તેને ઓળખી લીધો હતો.