ટીમ ઈન્ડિયાનાં ચાર ખેલાડીઓ જુદા જુદા કારણોસર ક્રિકેટમાંથી સંન્યાસ લઇ શકે છે. જેમાં ભુવનેશ્વર કુમાર અને શિખર ધવન ટેસ્ટ ક્રિકેટમાંથી જયારે બોલર ઇશાંત શર્મા ટી 20 ક્રિકેટમાંથી સંન્યાસ લે તેવી શક્યતાઓ છે. જયારે પૂર્વ કેપ્ટન ધોની વિશે કેટલાય સમયથી સંન્યાસની અટકળો કરવામાં આવી રહી છે.
ભુવનેશ્વર કુમારે વર્ષ 2018થી નથી રમી ટેસ્ટ ક્રિકેટ
ઈજાથી બહાર આવી રહેલા શિખર ધવન ટેસ્ટ ક્રિકેટથી લઇ શકે છે સંન્યાસ
ઇશાંત શર્માને 2018ની IPLમાં કોઈ ટીમે ન ખરીદ્યો ત્યારથી ટી 20 ક્રિકેટથી દૂર
ભારતીય ટીમનાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ખૂબ લોકપ્રિય ખેલાડીઓમાં એક છે. પરંતુ તે કેટલાય દિવસથી ઈજાથી પીડાઈ રહ્યા છે. તેઓ સ્પોર્ટસ હર્નિયાથી પરેશાન છે અને ટીમની બહાર ચાલી રહ્યા છે. વર્ષ 2018 બાદ તેમણે એક પણ ટેસ્ટ મેચ નથી રમી એવામાં માનવામાં આવી રહ્યું છે કે તે ટેસ્ટ મેચમાંથી સંન્યાસ લઇ લેશે.
ટીમના ઓપનર અને દુનિયાભરમાં પોતાની બેટિંગ સ્કિલથી નામના મેળવનાર ખેલાડી ગબ્બર શિખર ધવન પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે. શિખર ધવન પણ ઈજાગ્રસ્ત થયા બાદથી ટીમથી બહાર ચાલી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરીઝમાં તે ઈજાગ્રસ્ત થયા હતા તેમની જગ્યાએ ટીમમાં શુભમન ગિલ અને પૃથ્વી જેવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે ત્યારે શિખર ધવન ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈલે તેવી પ્રબળ શક્યતાઓ છે.
મહેન્દ્ર સિંહ ધોની વિશે તો કેટલાય સમયથી ક્રિકેટનાં તમામ ફોરમેટમાંથી સંન્યાસની અટકળો ચાલી રહી છે. ધોની સતત ટીમથી બહાર રાખવામાં આવી રહ્યા છે. ગયાં વર્ષે વર્લ્ડ કપની ફાઈનલ મેચ બાદ ધોનીએ એક પણ મેચ રમી નથી. જોકે ધોની આ વર્ષે આઈપીએલમાં રમવાના છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે થોડા સમય બાદ ધોની પણ સંન્યાસની જાહેરાત કરશે.
ઇશાંત શર્મા દેશનાં એવા ખેલાડી છે જે ઘણીવાર ઈજા સામે લડીને બહાર આવ્યા છે. પરંતુ ટી 20 ક્રિકેટમાં ઇશાંતની વાપસી હવે અસંભવ લાગે છે. વર્ષ 2018માં આઈપીએલમાં તેમને કોઈ ટીમે ન ખરીદ્યો તે બાદથી જ તે ટી 20 ક્રિકેટથી દૂર છે. પોતાની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઇશાંત શર્મા ટી 20 ક્રિકેટમાંથી સંન્યાસ લઇ શકે છે. જોકે ટેસ્ટમાં આજે પણ ઇશાંત શર્મા મહત્વનાં ખેલાડીઓમાં એક છે.