મહાઠગ સુકેશ ચંદ્રશેખર 200 કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. સુકેશની સાથે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ પણ મની લોન્ડરિંગ કેસમાં નજર હેઠળ છે. સુકેશે હવે જેલમાંથી પોતાના વકીલને એક પત્ર લખ્યો છે, જેમાં સુકેશે જેકલીન ફર્નાન્ડિસને લઈને મોટો ખુલાસો કર્યો છે.
સુકેશ ચંદ્રશેખરે પોતાના વકીલને લખેલા પત્રમાં કહ્યું છે કે, 200 કરોડના કૌભાંડમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની કોઈ ભૂમિકા નથી. તેણે પત્રમાં જણાવ્યું છે કે, તેણે જેકલીનને આપેલી તમામ મોંઘી ગિફ્ટ્સ, કાર માત્ર રિલેશનશિપમાં હોવાના કારણે જ આપી હતી. સુકેશે એવો પણ દાવો કર્યો છે કે, રેનબેક્સીના ભૂતપૂર્વ માલિકને મુક્ત કરવા માટે તેમને 200 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
સુકેશે પોતાના પત્રમાં લખ્યું, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જેકલીનને પીએમએલએ કેસમાં આરોપી બનાવવામાં આવી છે. મેં અગાઉ પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે, અમે રિલેશનશિપમાં હતા અને આ જ રિલેશનશિપ હેઠળ મેં જેક્લિન અને તેના પરિવારને ગિફ્ટ્સ આપી હતી. તેમનો શું વાંક ? સુકેશે આગળ લખ્યું - જેકલીને મારી પાસેથી ક્યારેય માત્ર પ્રેમ અને તેની સાથે ઉભા રહેવા સિવાય બીજું કંઈ નથી માંગ્યું. જેકલીન અને તેના પરિવાર પર ખર્ચવામાં આવેલ દરેક પૈસો કાયદેસર રીતે કમાયો હતો અને ટૂંક સમયમાં તે ટ્રાયલ કોર્ટમાં સાબિત થશે.
આ સાથે સુકેશે એમ પણ લખ્યું છે કે, મની લોન્ડરિંગ કેસમાં જેકલીન અને તેના પરિવારને ખેંચવાની જરૂર નથી. આમાં તેમની ભૂલ નથી. સુકેશે એમ પણ કહ્યું છે કે, તે જેકલીનને જે કંઈ ગુમાવ્યું છે તે બધું આપશે અને તેને સંપૂર્ણ રીતે નિર્દોષ સાબિત કરશે. સુકેશે તેની સામેના છેતરપિંડીના કેસને રાજકીય કાવતરું ગણાવ્યું છે.
જેકલીન ફર્નાન્ડિસને મળી છે રાહત
જેકલીન ફર્નાન્ડિસની વાત કરીએ તો દિવાળીના અવસર પર તેને કોર્ટમાંથી રાહત મળી છે. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીનની વચગાળાની જામીન 10 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જેકલીન ફર્નાન્ડીઝ મની લોન્ડરિંગ કેસમાં 22 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટે જેકલીનની જામીન લંબાવી છે. સુનાવણી દરમિયાન કોર્ટે EDને તમામ પક્ષકારોની ચાર્જશીટ અને કેસ સંબંધિત જરૂરી દસ્તાવેજો આપવાનો આદેશ પણ આપ્યો છે.