અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિંહા કેટલાંય વર્ષ સુધી ભાજપમાં રહેવા છતાં ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખર આલોચક રહ્યા છે અને ત્યારબાદ તેઓએ ગત વર્ષે કોંગ્રેસનો પંજો પકડી લીધો હતો, પરંતુ ગઇ કાલે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ માટે આશ્ચર્યજનક થેન્કયુ નોટ રજૂ કરી બધાંને અચંબામાં મૂકી દીધાં હતાં.
વુહાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને એરલિફટ કરવાના કાર્યની સરાહના કરી
શત્રુઘ્ન સિંહાએ ગૃહપ્રધાન અમિત શાહ માટે આશ્ચર્યજનક થેન્કયુ નોટ રજૂ કરી
શત્રુઘ્ન સિંહા ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખર આલોચક રહ્યા છે
શત્રુઘ્ન સિંહાએ કોરોના વાઇરસથી પ્રભાવિત ચીનના વુહાન શહેરથી ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે એરલિફટ કરીને ભારત લાવવા બદલ વડા પ્રધાન અને ગૃહપ્રધાનની ભારોભાર સરાહના કરી છે.
શત્રુઘ્ન સિંહાએ ટ્વિટર પર લખ્યું છે કે માનનીય પીએમ હું સ્પષ્ટ બોલવા માટે પ્રસિદ્ધ અથવા બદનામ રહ્યો છું એટલા માટે હું આપની, આપના પીએમઓ અને ગૃહપ્રધાન અમિત શાહની પ્રશંસા કરું છું.
તેઓએ કહ્યું કે, હું એર ઇન્ડિયા અને તેના ક્રૂની પણ પ્રશંસા કરું છું કે જેઓ આપણાં બાળકો અને વિદ્યાર્થીઓને લેવા ચીન ગયા હતા. કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહાએ વધુમાં લખ્યું છે કે રાજનીતિ પોતાની જગ્યાએ છે. ચૂંટણી પણ તેની જગ્યાએ છે. આ માનવતા રાષ્ટ્રીય હિતમાં છે. ઇમર્જન્સી સિચ્યુએશનમાં આટલી ઝડપથી મદદ માટે હું આપને- આપના લોકોને હંમેશની જેમ સેલ્યુટ કરું છું.