Ahmedabad News: અમદાવાદના વિશાલા-ગ્યાસપુરને જોડતો શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં, બ્રિજની હાલત અતિ ગંભીર છતાં તંત્ર કરી રહ્યું છે આંખ આડા કાન.
શાસ્ત્રી બ્રિજમાં મસમોટી તિરાડો પડી
બ્રિજની રેલિંગ પણ તૂટેલી સ્થિતીમાં જોવા મળી
અઘટીત ઘટના બનશે તો જવાબદાર કોણ?
મનપા અને NHAI એક બીજાને આપે છે ખો
15 વર્ષથી બ્રિજની સ્થિતિ ઠેરની ઠેર
અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અને પલ્લવ બ્રિજ બાદ હવે શાસ્ત્રી બ્રિજ ચર્ચામાં આવ્યો છે. શાસ્ત્રી બ્રિજને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. વિશાલા-ગ્યાસપુરને જોડતા શાસ્ત્રી બ્રિજમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. સાથે જ બ્રિજની રેલિંગ પણ તૂટી ગઈ છે. જેને લઈ સ્થાનિકો દ્વારા અનેક સવાલ પણ કરવામાં આવી રહ્યાં છે. શાસ્ત્રી બ્રિજની હાલત અતિ ગંભીર છતાં તંત્ર આંખ આડા કાન કરી ઘોર નિદ્રામાં હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. AMC અને સત્તાધીશો મોટી હોનારતની રાહ જોઈ રહ્યાં હોય તેવું આ બ્રિજને જોતા લાગી રહ્યું છે.
બ્રિજ પર પડી ગઈ છે મોટી તિરાડો
સ્માર્ટ અને મેટ્રો સિટી અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે તંત્ર દ્વારા નવા-નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે જૂના બ્રિજની મરામત કરવામાં તંત્ર ઘોર ઉદાસીનતા દાખવી રહ્યું હોય તેવું લાગી જણાઈ રહ્યું છે. શાસ્ત્રી બ્રિજમાં મોટી-મોટી તિરાડો પડી ગઈ છે અને રેલિંગ પણ તૂટી ગઈ છે. આ બ્રિજને લઈ અમદાવાદ મનપા અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે જ્યારે આ પ્રકારે સવાલો ઉઠે ત્યારે માત્ર થીગડા મારીને સંતોષ માની લેવામાં આવે છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર કોઈ મોરબી દુર્ઘટના જેવી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું?
ભારે વાહનો પસાર થાય ત્યારે ધ્રુજે છે બ્રિજ
આ બ્રિજ પર દરરોજ લાખો નાના-મોટા વાહનોની અવર-જવર થાય છે અને જ્યારે પણ બ્રિજ પરથી બે ભારે વાહનો પસાર થાય ત્યારે બ્રિજમાં ધ્રુજારી અનુભવાય છે. ઠેર ઠેર ગાબડાં અને ભારેવાહનોના પરિવહન વખતે બ્રિજ પર અનુભવાતી ભયાનક ધ્રુજારી, આ અનુભૂતિ અહી પસાર થતાં વાહનચાલકોને ભયના ઓથાર હેઠે મૂકી રહી છે.
વાઈબ્રેટ થાય છે બ્રિજ
આ બ્રિજને લઈ રાહદારીઓએ રોષ ઠાલવ્યો છે. રાહદારીએ કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી બ્રિજની સ્થિતિ ઠેરની ઠેર છે. મોટા વાહનો આ બ્રિજ પરથી નીકળે ત્યારે બ્રિજમાં વાઈબ્રેટ થાય છે. જેથી તાત્કાલિક આ બ્રિજને રિપેર કરવાની જરૂર છે.
15 વર્ષથી બ્રિજની સ્થિતિ ઠેરની ઠેર
અન્ય એક રાહદારીએ જણાવ્યું કે, હું 15 વર્ષથી જોવું છું કે આ બ્રિજની સ્થિતિ એવીને એવી જ છે. આમાં કોઈ સુધારા આવ્યા નથી. બ્રિજ પર ગાબડા, તિરાડો પડી ગઈ છે. જેના કારણે અકસ્માત સર્જાવાની સંભાવના સૌથી વધારે રહે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક વખત શાસ્ત્રી બ્રિજ જર્જરિત થયો હતો. આ દરમિયાન તંત્રએ બ્રિજ પર થીગળા મારીને સંતોષ માન્યો હતો.
સળગતા સવાલ
- શાસ્ત્રી બ્રિજની આવી હાલત કેમ થઈ?
- સત્તાધીશો ક્યારે બ્રિજનું સમારકામ કરવાશે?
- મોટી દુર્ઘટના સર્જાશે તો કોણ લેશે જવાબદારી?
- નેતાઓ-અધિકારીઓને કેમ નાગરિકોના જીવની નથી ચિંતા?
- આખેઆખો બ્રિજ જર્જરિત હોવા છતાં કેમ હજુ સુધી છે ચાલુ?
- કોઇ મોટી દુર્ઘટના થાય તેની રાહ જુએ છે સત્તાધીશો?
- આખરે ક્યારે થશે આ બ્રિજનું સમારકામ?
- જનતાની પરેશાની કેમ કોઇને દેખાતી નથી?
- જનતાની સમસ્યાનું નિરાકરણ આખરે ક્યારે આવશે?
- આ બ્રિજ પર કોઇ અકસ્માત થશે તો તેના માટે કોણ જવાબદાર?
- પીક અવર્સમાં જનતાને પડતી હાલાકી માટે કોણ જવાબદાર?