ચોથુ અને પાંચમુ નોરતુ બંને એકસાથે હોવાથી આજે છઠ્ઠુ નોરતુ છે. આજે નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે.
નવલી નવરાત્રિનું આજે છઠ્ઠુ નોરતુ
નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયનીની થાય છે પૂજા
માંની ઉપાસના કરવાથી થાય છે વિશેષ લાભ
માંનુ નામ કાત્યાયની કેમ પડ્યુ ?
માં કાત્યાયનીનો જન્મ કાત્યાયન ઋષિના ઘરે થયો હતો. તેથી તેમને કાત્યાયની કહેવામાં આવે છે. માં કાત્યાયનીના હાથમાં અસ્ત્ર શસ્ત્ર અને કમળનું પુષ્પ છે. તેમનુ વાહન સિંહ છે. તેઓ બ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. ગોપીઓએ કૃષ્ણની પ્રાપ્તિ માટે તેમની પૂજા કરી હતી.
માં કાત્યાયનીની પૂજા કરવાથી મળે છે આ લાભ
વિવાહ સંબંધી મામલા માટે માંના આ સ્વરૂપની પુજા અચૂક થાય છે. જ્યોતિષમાં બૃહસ્પતિનો સંબંધ તેમની સાથે માનવામાં આવે છે. કન્યાઓના જલ્દી લગ્ન માટે માંની પૂજા અદ્ભુત માનવામાં આવે છે. મનગમતા વિવાહ અને પ્રેમ વિવાહ માટે પણ તેમની આરાધના કરવામાં આવે છે. લગ્ન જીવન માટે પણ તેમની પૂજા ફળદાયી રહે છે. જો કુંડળીમાં લગ્ન યોગ મોડા હોય તો પણ લગ્ન થઇ જાય છે.
માં કાત્યાયનીની પૂજા વિધિ
માં કાત્યાયનીની પૂજા સાંજના સમયે પીળા અને લાલ વસ્ત્ર ધારણ કરીને કરવી જોઈએ. માંને પીળા ફૂલ અને પીળા નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ. માંને મધ અર્પણ કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. માંને સુગંધિત પુષ્પ અર્પણ કરવાથી તાત્કાલિક વિવાહના યોગ બને છે. આ સાથે પ્રેમ સંબંધી અડચણો પણ દૂર થશે. ત્યારબાદ માંની સમક્ષ તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ. તાત્કાલિક લગ્ન માટે માં કાત્યાયનીની પૂજામાં દીવો પ્રગટાવ્યાં બાદ માંને પીળા ફૂલ અર્પણ કરો. ત્યારબાદ હળદરની ત્રણ ગોટી ચડાવો. ત્યારબાદ માં કાત્યાયનીના મંત્ર કાત્યાયની મહામાયે, મહાયોગિન્યધીશ્વરી, નન્દગોપસુતં દેવી, પતિ મે કુરૂ તે નમ: નો જાપ કરો અને હળદરની ગોટીને તમારી પાસે રાખો.