પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે તેના ત્રીજા સોમવારની ઉજવણી થઈ રહી છે. ભક્તો સવારથી જ શિવમંદિરમાં દર્શન કરવા પહોંચી ચૂક્યા છે.
શ્રાવણ મહિનો હોય એટલે ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવના દર્શનનું મહત્વ વધી જાય છે. ભગવાન ભોળેનાથના દર્શન કરવા માટે શિવમંદિરોમાં ભારે ધસારો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના સીએમ વિજય રૂપાણી પણ આ શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથના દર્શનનો લાભ લેશે. આ સાથે જ તેઓ ધ્વજા ચઢાવશે અને મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે.
ભોળેનાથના દર્શન માટે વહેલી સવારથી ભક્તો લાઈનમાં લાગે છે અને સાથે હર હર મહાદેવના નાદથી મંદિર ગૂંજી ઉઠે છે. શ્રાવણનો સોમવાર દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય છે. મહાદેવની ઉપાસના કરવાથી નવગ્રહ ઘડતરમાં રાહત મળે છે અને સાથે માનસિક ચિંતા ઘટશે. ભક્તો દ્વારા શિવને પ્રસન્ન કરવા માટેનો આ મહિનો વિશેષ મહત્વ ધરાવે છે. મહાદેવની પૂજા કરવામાં આવે તો દેવોના દેવ મહાદેવ ભક્તોને સુખ-સમૃદ્ધિ-પ્રતિષ્ઠા-સાહસ આપે છે. મહાદેવ ખૂબજ દયાળુ છે, તે ભક્તો પર ઝડપથી પ્રસન્ન થાય છે.