આવતીકાલે એટલે કે 30 ઓક્ટોબરે દેશભરમાં શરદ પૂનમનો તહેવાર ઉજવાશે. કાલે શરદ ઋતુમાં આવતી આસો મહિનાની પૂર્ણિમા છે એટલે આ દિવસે શરદ પૂર્ણિમાનું પર્વ ઊજવવામાં આવે છે. માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન શરદ પૂર્ણિમાએ દેવી લક્ષ્મી પ્રકટ થયાં હતાં, એટલે એને લક્ષ્મીજીના પ્રાકટ્ય દિવસ સ્વરૂપે પણ ઊજવવામાં આવે છે અને આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. આવતીકાલ બાદ હવે ફરી આવો શુભ સંયોગ 2033માં બનશે.
આવતીકાલે ઉજવાશે શરદ પૂનમ
5 શુભયોગમાં ઉજવાશે આ તહેવાર
7 વર્ષ પછી શુક્રવાર અને શરદ પૂર્ણિમાનો યોગ બન્યો
7 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ
આ વર્ષે શુક્રવારે શરદ પૂર્ણિમાનો શુભ યોગ બની રહ્યો છે. મળતી માહિતી અનુસાર 7 વર્ષ પછી આવો સંયોગ બની રહ્યો છે. આ પહેલાં 18 ઓક્ટોબર 2013ના રોજ શુક્રવારે આ પર્વ ઊજવવામાં આવ્યું હતું. હવે 13 વર્ષ એટલે 7 ઓક્ટોબર 2033ના રોજ આ સંયોગ બનશે. શુક્રવારે પૂર્ણિમા હોવાથી એનું શુભ ફળ વધી જશે, સાથે જ આ વખતે શરદ પૂર્ણિમાનો ચંદ્રોદય સર્વાર્થસિદ્ધિ અને લક્ષ્મીયોગમાં થઇ રહ્યો છે, જેના કારણે આ દિવસે લક્ષ્મીપૂજાનું વિશેષ મહત્વ રહેશે.
30 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા, જાણો મૂહૂર્ત
દેશભરમાં આસો મહિનાની પૂર્ણિમા તિથિ 30 ઓક્ટોબરે સાંજે લગભગ પોણા 6 વાગ્યાથી શરૂ થઇ જશે અને આખી રાત પૂર્ણિમા તિથિ રહેશે, એટલે શુક્રવારે રાતે શરદ પૂર્ણિમા પર્વ ઊજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ બીજા દિવસ એટલે 31 ઓક્ટોબરે આખો દિવસ રહેશે અને રાતે લગભગ 8 વાગ્યે પૂર્ણ થઇ જશે, એટલે શનિવારે પૂર્ણિમા વ્રત, પૂજા, તીર્થ સ્નાન અને દાન કરવું જોઇએ.
5 શુભયોગમાં ચંદ્ર ઉદય થશે
આ વર્ષે શરદ પૂર્ણિમાના ચંદ્રનો ઉદય 5 શુભયોગમાં થશે, જેના પ્રભાવથી સારું સ્વાસ્થ્ય અને ધનલાભ થશે. પૂર્ણિમાએ તિથિ, વાર અને નક્ષત્રથી મળીને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગમાં કરેલાં બધાં કામ સિદ્ધ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે જ લક્ષ્મી, શંખ, મહાભાગ્ય અને શશ નામના 4 રાજયોગ બનવાથી આ દિવસ વધારે ખાસ રહેશે. આ પર્વ પર બૃહસ્પતિ અને શનિ પોત-પોતાની રાશિમાં રહેશે, જે શુભ સંયોગ છે.
જાણો ખરીદીનું શુભ મુહૂર્ત
30 ઓક્ટોબર 2020ના રોજ એટલે કે શુક્રવારે પ્રોપર્ટી ખરીદવા માટે વિશેષ શુભ મુહૂર્ત બની રહ્યું છે. શરદ પૂર્ણિમાએ સર્વાર્થસિદ્ધિયોગ હોવાથી ઇલેક્ટ્રોનિક્સ સામાન, ઘરેણાં, ફર્નિચર, વાહન અને સુખ-સુવિધા આપતી અન્ય સામાનની ખરીદારી કરી શકાય છે. આ દિવસે રવિયોગ અને અમૃતસિદ્ધિયોગ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. આ પહેલાં ખરીદારી કરવું વધારે શુભ છે. જોકે સર્વાર્થસિદ્ધિયોગ આખો દિવસ અને રાત સુધી રહેશે.
શરદપૂનમનું છે ખાસ ઔષધીય મહત્વ
શરદ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની 16 કળાઓથી અમૃતની વર્ષા કરે છે. આ રાતે ઔષધીઓ ચંદ્રના પ્રકાશ દ્વારા ઝડપથી પોતાનામાં અમૃત ગ્રહણ કરવા લાગે છે, એટલે આ દિવસે ચંદ્રનો પ્રભાવ ધરાવતી વસ્તુઓ એટલે દૂધથી બનેલી ખીર બનાવવામાં આવે છે અને ચાંદીના વાસણમાં ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે. આવું કરવાથી તેમાં ઔષધીય ગુણ આવી જાય છે. માન્યતા છે કે એ ખીરને ખાવાથી રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે, જેનાથી અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે. આ દિવસે દૂધ પૌંઆ ખાવાની પણ પરંપરા છે.