સામાન્ય રીતે દિવાળીને માં લક્ષ્મીની પૂજા અને ધન સંપત્તિની વૃદ્ઘિ માટેના અનુષ્ઠાનનો દિવસ માનવામાં આવે છે. પરંતુ દિવાળીના 15 દિવસ પહેલા એક રાત એવી આવે છે જેનું મહત્વ દિવાળીની રાત કરતા પણ વધારે હોય છે. આ રાત એટલે શરદ પૂનમની રાત આ દિવસે રાત જાગીને માં લક્ષ્મીનું પૂજન તેમજ અનુષ્ઠાન કરીને માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવી શકાય છે. આ વર્ષે શરદ પૂનમ 24 ઓક્ટોબર બુધવારના રોજ છે.
24મીએ છે શરદ પૂર્ણિમા:
આ વખતે શરદ પૂનમને લઈને કેટલીક જગ્યાએ અસમંજસ જોવા મળે છે. ગૂગલમાં જોતા ઘણા લોકો કહે છે કે 23મીએ શરદ પૂનમ છે પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યુ છે કે आश्विनपौर्णमास्यां कोजागर व्रतम्।। केचित्पूर्वदिने निशीथव्याप्तिमेव परदिने प्रदोषव्याप्तिरेव तदा परेत्याहुः।।
એટલે કે જે દિવસે શરદ પૂનમ સંધ્યા અને રાત્રી બંને દરમિયાન હોય તે જ દિવસે વ્રત કરવામાં આવે છે. આ વખતે 23મી તારીખે રાત્રે 10.37 વાગ્યે પૂનમ શરુ થાય છે. જે 24મી તારીખે રાત્રે 10.15 કલાકે પૂર્ણ થાય છે. જેથી 23મીએ સંધ્યા સમયે નહીં પરંતુ ફકત રાત્રી સમયે જ પૂનમ તિથિ છે. જ્યારે 24મીના રોજ સમગ્ર દિવસ અને રાતના મોડે સુધી પૂનમ છે જેથી સંધ્યા અને રાત્રી દરમિયાન પૂનમ હોવાથી આ દિવસે વ્રતની પૂનમ તરીકે ઉજવવામાં આવે છે.
શરદ પૂનમમાં શુભ મૂહુર્ત:
24મી તારીખે સાંજે 5.40 મિનિટથી સાંજે 5.45 મિનિટ સુધીનો 5 મિનિટનો સમય ખૂબ જ મંગલકારી રહેશે. આ સમયે તમે જે પણ કાર્ય કરશો તેને પૂર્ણતા સુધી પહોંચાડવા માટે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે. તેના પછી રાત્રે 9.24થી રાત્રે 11.37 મિનિટ સુધી પણ શુભ મૂહુર્ત છે. આ દરમિયાન ધ્યાન જપ તાપ અને વિધિ વિધાન પૂર્વક માં લક્ષ્મી અને શ્રીહરિની પૂજા કરો.
આ રીતે કરો પૂજા:
લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે લાલ કપડું અથવા પીળું કપડું બાજોઠ પર પાથરો. તેના પર લક્ષ્મીનારાયણની પ્રતિમાને સ્થાપિત કરો. તેની સામે શુદ્ઘ ઘીનો દીવો પ્રગટાવો. જે બાદ ગંગાજળથી સ્નાન કરાવી પ્રતિમાને તિલક અને ચોખા ચોડો. ત્યારબાદ લાલ પીળા પુષ્પ અર્પિત કરો અને સફેદ-પીળા કલરની મીઠાઇનો ભોગ લગાવો. શક્ય બને તો ખાસ દૂધપાકનો ભોગ લગાવવો. જે બાદ તેની સામે આસન પર બેસીને પૂર્ણ રાત વહેલી સવારે બ્રહ્મ મૂહુર્તમાં 3 વાગ્યા સુધી વિષ્ણુ સહસ્ત્રનામ શ્રીસુક્તમ શ્રી કૃષ્ણ મધુરાષ્ટક અથવા કનકધારા સ્તોત્રનો પાઠ કરો. પૂજાની શરૂઆત કરતા પહેલા ગણેશજી પૂજા ભૂલશો નહીં.