ભાજપના મિશન મહારાષ્ટ્રને ફરીથી એક વાર પછડાટ મળી છે, આ વખતે પણ ભાજપ શરદ પવારની ચાલબાજીમા ફસાઈને ચિત થઈ ગયું છે, માહિતી પ્રમાણે NCP એ ભાજપની એક મોટી વિકેટ ખેરવી નાંખી છે.
મહારાષ્ટ્રમા NCP એ ખેરવી મોટી વિકેટ
ભાજપના નેતા એકનાથ ખડસે પાર્ટી છોડી
હવે NCP મા જોડાઈ શકે છે એકનાથ ખડસે
ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રમાં મોટો ધક્કો લાગ્યો છે, સમાચાર પ્રમાણે શુક્રવારે પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી એકનાથ ખડસે NCP માં જોડાશે. એકનાથ ખડસે ના રાજીનામાની પણ ભાજપ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. એકનાથ ખડસેને તેમના ભાવિ માટે ભાજપ એ શુભેચ્છા પાઠવી છે.
શુક્રવારે NCP માં જોડાશે એકનાથ ખડસે
રાજ્ય સરકારના મંત્રી જયંત પાટિલે દાવો કર્યો છે કે શુક્રવારે એકનાથ ખડસે NCP માં જોડાશે. શુક્રવારે બપોરે બે વાગ્યે એકનાથ ખડસે NCP માં સભ્યપદ ધારણ કરી શકે છે. માનવામાં આવે છે કે છેલ્લા કેટલાક દિવસોથી NCP ના નેતાઓ અને ભાજપના નેતા એકનાથ ખડસે વચ્ચે વાત ચાલી રહી હતી. આવી સ્થિતિમાં તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારમાં તેઓ કોઈપણ મંત્રી પદ સંભાળી શકે છે. એકનાથ ખડસે ની નજર કૃષિ મંત્રાલય પર છે જે હજુ શિવસેના પાસે જ છે.
છેલ્લા ઘણા મહિનાઓથી, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે એકનાથ ખડસે પાર્ટી છોડી શકે છે. કારણ કે તેમને પાર્ટીમાં બેસાડવામાં આવી રહ્યા છે. રવિવારે એક વાત બહાર આવી હતી કે એકનાથ ખડસે એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, જોકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આ દાવાઓને નકારી દીધા હતા અને કહ્યું હતું કે તેઓ આમ નહીં કરે.
આ ઉથલપાથલ વચ્ચે NCP નેતા શરદ પવારનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર માં ભાજપ ના નિર્માણમાં એકનાથ ખડસે નું મહત્વ રહ્યું છે. આવી સ્થિતિમાં હવે તેઓને પાર્ટીમા સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે જે યોગ્ય નથી.
નોંધનીય છે કે એકનાથ ખડસે પર 2015 માં ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા જે બાદ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદથી, ખડસેની રાજકીય કારકિર્દી પર સવાલો ઊભા થઈ રહ્યા હતા, મહત્વનું છે કે ખડસેના વિસ્તારમાં પાર્ટી હવે ગિરીશ મહાજનને મહત્વ આપી રહી છે જે દેવેન્દ્ર ફડણવીસ ના નજીકના માનવામાં આવે છે.