સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેની લડત ચાલુ છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)ના વડા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી શરદ પવારને આવકવેરા વિભાગની નોટિસ મળી છે. આ નોટિસ ગત ચૂંટણીમાં અપાયેલા સોગંદનામાને કારણે મોકલવામાં આવી છે.
સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેની લડત ચાલુ
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની ચિંતામાં થયો વધારો
આવકવેરા વિભાગે ફટકારી નોટિસ
આવકવેરા વિભાગ દ્વારા શરદ પવાર જ નહીં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મંત્રી આદિત્ય ઠાકરે, એનસીપીના નેતા સુપ્રિયા સુલેને પણ નોટિસ ફટકારી છે. કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગની આ નોટિસ દ્વારા છેલ્લા કેટલાક ચૂંટણીમાં દાખલ કરાયેલા સોગંદનામાની માહિતી માંગવામાં આવી છે.
શરદ પવારનું નિવેદન
ઉલ્લેખનીય છે કે, મંગળવારે જ્યારે શરદ પવારને નોટિસ મેળવવા અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે તે લોકો (જે લોકો નોટિસ મોકલે છે) કેટલાક લોકોને વધુ ચાહે છે.
મહારાષ્ટ્ર સરકાર માટે ચાલી રહી છે હાલ તણાવની સ્થિતિ
આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તણાવની સ્થિતિ ઘણા સમયથી ચાલી રહી છે. દરમિયાન આ નોટિસનો મામલો સામે આવ્યો છે.
એટલું જ નહીં કૃષિ બિલનો શરદ પવાર અને શિવસેના દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજ્યસભાના સાંસદોની સસ્પેન્શન મુદ્દે મંગળવારે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એક દિવસનો ઉપવાસ રાખવાની જાહેરાત કરી હતી. આ સમગ્ર રાજકીય વિકાસની વચ્ચે નોટિસના સમાચાર આવી ગયા છે.