મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટીઓ શિવસેના અને એનસીપી વચ્ચે ખેંચતાણના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે એનસીપી સુપ્રીમો શરદ પવારે સ્પષ્ટતા કરી છે કે ત્રણેય પાર્ટી સાથે મળીને કામ કરી રહી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની સાથે મુલાકાત બાદ વધેલી રાજકીય હલચલ પર પવારે કહ્યું કે ગઠબંધન યથાવત છે અને રાજ્યપાલ સાથેની મુલાકાત એક શિષ્ટાચાર મુલાકાત હતી.
શરદ પવારે સ્પષ્ટતા કરી, ત્રણેય પાર્ટી NCP, શિવસેના અને કોંગ્રેસ સાથે મળીને કામ કરી રહી છે
ફડણવીસ ધૈર્યહીન બની રહ્યા છે પરંતુ મહારાષ્ટ્રની સરકારને કોઇ ખતરો નથી : શરદ પવાર
શરદ પવારે કહ્યું કે કોંગ્રેસ અને શિવસેનાની સાથે પોતાના ગઠબંધનને લઇને પ્રતિબદ્ધ છે. એક ન્યૂઝ ચેનલ એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીનો ઉલ્લેખ કરતા કહ્યું કે 'ફડણવીસ ધૈર્યહીન બની રહ્યા છે. ફડણવીસ સરકારને તોડી પાડવા માટે ઉત્સાહી છે પરંતુ મહારાષ્ટ્રની સરકારને કોઇ ખતરો નથી. તમામ ધારાસભ્ય અમારી સાથે છે. જો આ વખતે ધારાસભ્યને તોડવાની કોશિશ થશે તો જનતા ફટકારશે.'
શરદ પવારે રાજ્યપાલ સાથેની પોતાની મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત બતાવતા કહ્યું કે રાજ્યપાલ સાથે કોરોના અથવા રાજનીતિ પર કોઇ વાત નથી થઇ. જ્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે બેઠકને લઇને તેઓએ કહ્યું કે હું અને ઉદ્ધવ નિયમિત રૂપે મેયરોના બંગલા પર મળીએ છીએ. આ વખતે માતોશ્રીમાં મુલાકાતનો નિર્ણય લેવામાં આવ્યો. ઉદ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રની સ્થિતિને લઇને બેઠક થઇ.
આ પહેલા સીએમ ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના સુપ્રીમો શરદ પવારે સોમવારે સાંજે મુલાકાત કરી. ત્યારબાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે સરકાર મજબૂત છે. ચિંતા કરવાની જરૂર નથી. સીએમ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની આ મુલાકાત ઉદ્ધવ ઠાકરેના ઘરે માતોશ્રીમાં થઇ હતી.
રાઉતે પોતાના ટ્વિટમાં લખ્યું, શરદ પવાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કાલે સાંજે માતોશ્રીની મુલાકાત લીધી. બંને નેતાઓની વચ્ચે દોઢ કલાકની વાતચીત થઇ. જો કોઇ સરકારની સ્થિરતાને લઇને સમાચાર ફેલાવી રહ્યું છે કે તો આ તેમના પેટનો દુખાવો છે. સરકાર મજબૂત છે. ચિંતા કરવાની કોઇ જરૂર નથી. જય મહારાષ્ટ્ર.