મંગળવારે શરદ પવારના નિવાસસ્થાને નીતિન ગડકરી સહિત તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યાં હતાં. જેના લીધે મહારાષ્ટ્રની રાજનીતિમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.
શું મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ખીચડી રંધાઈ રહી છે?
મહારાષ્ટ્રના ધારાસભ્યો માટે કરાયું હતું ડિનર પાર્ટીનું આયોજન
શરદ પવારના નિવાસસ્થાને ગડકરી સહિત તમામ પક્ષોના નેતાઓ રહ્યાં હાજર
મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈક નવાજૂની થવાનું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નાં વડા શરદ પવારના નિવાસસ્થાને આયોજિત ડિનર પાર્ટીમાં ભેગા થયેલા નેતાઓને જોયા બાદ આ પ્રશ્ન ઊભો થયો છે. આ ડિનર પાર્ટીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યાં હતાં. જણાવી દઇએ કે, મંગળવારે દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવારના ઘરે મહારાષ્ટ્રના ધારાસભ્યો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંજય રાઉત અને ગડકરી પણ હાજર
શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની કાર્યવાહીને લઈને ભાજપ અને શિવસેના આમને-સામને છે. આવી સ્થિતિમાં રાઉત અને ભાજપના નેતાઓનું એક પક્ષમાં સામેલ થવું તે અનેક અટકળોને જન્મ આપે છે. તમને જણાવી દઈએ કે, રાઉત કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર સતત પ્રહાર કરતા રહ્યાં છે. શરદ પવારના ઘરે આયોજિત ડિનરમાં હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ પહોંચ્યા હતાં.
Delhi | Union Minister Nitin Gadkari leaves from NCP chief Sharad Pawar's residence pic.twitter.com/K2WUQk96Iw
બીજી રીતે કહીએ તો આ ડિનરમાં મહારાષ્ટ્રના સત્તાધારી પક્ષ અને વિપક્ષ એક સાથે જોવા મળ્યા હતાં. પવારની આ ડિનર પાર્ટીમાં એનસીપી, શિવસેના, કોંગ્રેસ અને ભાજપના વિધાયકોને પણ આમંત્રણ અપાયું હતું. એ હિસાબથી ડિનર પાર્ટીમાં ચારેય પાર્ટીઓના ધારાસભ્યો અને કેટલાંક પસંદગીના સાંસદો પણ સામેલ થયા હતાં. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સાંસદ સંજય રાઉત, સુપ્રિયા સુલે, સુનિલ તટકરે, ડો. ફૌજિયા ખાન, વિનાયક રાઉત, શ્રીનિવાસ પાટિલ, ડો.અમોલ કોલ્હે, શ્રીકાંત શિંદે અને ઓમરાજે નિંબાલકર ડિનર પાર્ટીમાં સામેલ હતાં.
ગડકરી-ઠાકરેની મુલાકાત અંગેની અટકળો
નવી દિલ્હીમાં પવારના 6 જનપથ સ્થિતિ ઘર પર યોજાયેલા ડિનરમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જિરવાલ, વિધાન પરિષદના ઉપાધ્યક્ષ ડો. નીલમ ગોરહે, કૃષિમંત્રી દાદાજી ભૂસે, રોહિત પવાર, અદિતિ તટકરે, સુનિલ શેલ્કે, જીશાન સિદ્ધિકી, અનિકેત તટકરે, ડો. પ્રજ્ઞા સાતવ અને ભાજપ ધારાસભ્ય પણ હાજર રહ્યાં હતાં. આ અગાઉ રવિવારે મોડી રાત્રે ભાજપ નેતા નીતિન ગડકરીએ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આમ, તો આ મુલાકાતને અંગત મુલાકાત જ ગણાવાઈ હતી. પરંતુ મહારાષ્ટ્ર સરકારની આલોચના કરી રહેલા રાજ ઠાકરે સાથેની ગડકરીની મુલાકાત બાદ અટકળોનો દોર શરૂ થઈ ગયો છે.