કોરોનાના કહેરે સમગ્ર દુનિયામાં અનેક પ્રકારની વ્યવસ્થાઓ બદલી નાખી છે. જેમાં શિક્ષણવ્યવસ્થા પણ સામેલ છે. આપણા દેશમાં કોરોનાના કારણે છેલ્લાં 3 માસથી શાળાઓ બંધ છે. કરોડો વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાવિ અભ્યાસને લઈને અસમંજસમાં મુકાયા છે. ત્યારે કોરોના સંકટ વચ્ચે પણ રાજ્યની કેટલીક સ્કૂલો મનમાની કરી રહી છે. કોઇ સ્કૂલ ફી ભરવાની તો કોઇ સ્કૂલ યુનિફોર્મ ખરીદવા આદેશ આપી રહી છે. જોકે DEO આ અંગે તપાસના આદેશ આપ્યા છે.
શાંતિ એશિયાટિક સ્કૂલ લીધો હતો તઘલખી નિર્ણય
શાંતિ એશિયાટિક સ્કૂલ સામે DEOએ તપાસના આદેશ
ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરી બેસવા કર્યો હતો આદેશ
અમદાવાદની શાંતિ એશિયાટીક સ્કૂલ દ્વારા એક તઘલખી નિર્ણય કરાયો છે. જેમાં શાંતિ એશિયાટીક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને યુનિફોર્મ ખરીદવા માટે સૂચના આપવામાં આવી છે. વાલીઓને મેઈલ દ્વારા યુનિફોર્મ ખરીદવા સૂચના અપાઇ છે. એટલું જ નહીં ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરી બેસવા આદેશ કર્યો છે. ત્યારે આ અંગે VTV દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ DEO દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
સ્કૂલની ભૂલ હશે તો પગલા લેવાશેઃ DEO
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ સામે DEOએ તપાસના આદેશ આપ્યા છે. DEOએ જણાવ્યું કે, સ્કૂલની કોઇ ભૂલ હશે તો કડક પગલા લેવાશે. સ્કૂલ પાસેથી તમામ વિગતો માંગવામા આવી છે.
ત્યારે આ શાળાના તઘલખી નિર્ણય અંગે કેટલાક સવાલ થાય છે કે શું ઓનલાઇન ક્લાસમાં યુનિફોર્મ પહેરવો જરૂરી છે? શું વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરશે તો જ ભણી શકશે? મહામારી વચ્ચે શિક્ષણ મહત્વનું કે યુનિફોર્મ? યુનિફોર્મ મહત્વનો છે કે તેમની સાવચેતી? કેમ મહામારીમાં પણ સ્કૂલો પોતાની મનમાની ચલાવી રહી છે?
રાજકોટની મોદી સ્કૂલ દ્વારા ફી ઉઘરાવવાનો મામલો
બીજી તરફ રાજકોટની મોદી સ્કૂલ દ્વારા ફી ઉઘરાવવાના મામલો સામે આવ્યો હતો. તે અંગે પણ DEOએ તપાસના આદેશ આપ્યા છે. 2 એજ્યુકેશન ઇન્સપેક્ટર સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરશે. કેટલા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલાય તેની તપાસ કરવામાં આવશે. હજૂ કેટલા વિદ્યાર્થીઓના ચેક પડ્યા છે તેની પણ તપાસ થશે. વાલીઓ દ્વારા અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસ દ્વારા પણ ઉગ્ર રજૂઆત કરાઇ હતી.