ફી વધારા પર સરકારે ખાનગી શાળા સંચાલકોને ફટકાર આપી છે. ત્યારે શાળાના સંચાલકો પણ હવે ઓનલાઇન શિક્ષણ નહીં આપવાની વાત પર અડગ છે. તો ખાનગી શાળાના સંચાલકોની ઓનલાઇન શિક્ષણ ન આપવાની જાહેરાત બાદ રાજ્ય સરકારે કહ્યું કે, અમે ઓનલાઇન શિક્ષણ આપીશું. આ વચ્ચે હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખાનગી શાળાના શિક્ષકોના સમર્થનમાં આવ્યા છે.
ખાનગી શાળા શિક્ષકોના સમર્થનમાં શંકરસિંહ
શિક્ષકોને 6 મહિનાથી પગાર નથી મળ્યાઃ શંકરસિંહ
સરકારે આવા કર્મચારીઓના માટે ફંડ ઉભુ કરવું જોઈએ: શંકરસિંહ
શિક્ષણ નહીં તો ફી નહીં મામલે આજે કેટલીક ખાનગી શાળાઓના શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી હતી. ત્યારે ખાનગી શાળાના શિક્ષકોના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા આવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, શિક્ષકોને 6 મહિનાથી પગાર નથી મળ્યા. સરકારે આવા કર્મચારીઓના માટે ફંડ ઉભુ કરવું જોઈએ. ખાનગી શાળાના શિક્ષકો માટે સરકાર ટોકન પગારની વ્યવસ્થા કરે.
ફેસબુક પર લાઇવ પોસ્ટ પર શંકરસિંહ વાઘેલાએ લખ્યું કે, ' પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને ફરજિયાત પાસ કરવાનો નિયમ છે ત્યારે સરકારે ફીની ઉઘરાણી કરાવવા કે ઓનલાઇનનું ભારણ વધારવા કરતા તેમને માસ પ્રમોશન આપી દેવું જોઈએ તેવી મારી વિનંતી છે. આ સાથે ઘણા શિક્ષકોની ફરિયાદ છે કે છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ના મળતા પરિવારનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે ત્યારે સરકારે આવા કર્મચારીઓના હિતમાં એક ફંડ ઉભુ કરી સંસ્થાઓને પગાર અપાવવા સહાય કરવી જોઈએ.'
મહત્વનું છે કે, હાઈકોર્ટના ફી ન વસૂલવાના આદેશ બાદ ખાનગી શાળાઓ ઓનલાઈન શિક્ષણ આપવાનું બંધ કર્યું છે. તેથી આ શાળોએ શિક્ષણ આપવાનું બંધ કર્યું છે પરંતુ હવે ખાનગી શાળાના શિક્ષકોની રોજગારીનો મામલો સામે આવ્યો છે.