રાજ્યસભાની ચૂંટણી બાદ તુરંત NCPમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. શંકરસિંહે NCPના જનરલ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે, NCPમાં શંકરસિંહનું પદ ઘટતા અને NCPના ધારાસભ્યએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપતા શંકરસિંહે રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
શંકરસિંહ વાઘેલાએ NCPના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યુ હોવાની માહિતી તેમણે ટ્વિટ કરી આપી છે. શંકરસિંહે પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામુ આપ્યું છે.
I tender my resignation from the post of National General Secretary of @NCPspeaks and from Active Membership of the party. pic.twitter.com/W8o3t09t7d
— Shankersinh Vaghela (@ShankersinhBapu) June 22, 2020
પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને મળ્યું રાજકીય જીવનદાન
ઉલ્લેખનીય છે કે શંકરસિંહે NCP પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે ત્યારે ચર્ચા હવે એ થવા લાગી છે કે તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને રાજકીય જીવનદાન મળ્યું છે. તેના પાછળનો એ તર્ક જાણવા મળી રહ્યો છે કે અગાઉ શંકરસિંહે NCPમાં જોડાયા હતા ત્યારે મહેન્દ્રસિંહને ભાજપમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. આવામાં હવે જ્યારે NCPમાંથી બાપુએ રાજીનામું ધરી દીધું છે ત્યારે ભાજપમાં મહેન્દ્રસિંહની વાપસી થઈ શકે છે. જો મહેન્દ્રસિંહ સોલંકી ભાજપમાં પાછા આવે છે તો કહેવાય છે કે બાયડ પરની વિધાનસભાની બેઠક પર તેમને ચૂંટણી લડાવી શકાય છે.
મહત્વનું છે કે અગાઉ 4 જૂને શંકરસિંહ વાઘેલાએ NCPના પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવા મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે હું સત્તા વિહોણી પાર્ટીમાં જોડાયો હતો. જો મારે સત્તા માટે જોડાવું હોત તો કોંગ્રેસમાં જ રહ્યો હોત. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવાને લઇને અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. આ બાદ જ બાપુ પાર્ટીમાંથી રાજીનામું આપશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી.
પ્રદેશ પ્રમુખ પદેથી હટાવતા નારાજ થયાં હતાં
શંકરસિંહને પ્રમુખ પદેથી હટાવ્યા હતાં પરંતુ જનરલ સેક્રેટરીના પદે યથાવત રાખ્યાં હતાં. જો કે બાપુ તેનાથી નારાજ થયાં હતાં અને તેમણે ટ્વીટર પરથી પણ NCP જનરલ સેક્રેટરીની ઓળખ દૂર કરી દીધી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે 19મીએ NCP સાથે મારા સંબંધોનું ભાવિ નક્કી કરશે જેના પરિણામે આજે રાજીનામું આપી દેતાં આ પરિણામ બહાર આવ્યું હતું. મહત્વનું છે કે, 19મીએ રાજ્યસભાની ચૂંટણીમાં NCPના કાંધલ જાડેજાએ ભાજપને મત આપતા શંકરસિંહના રાજીનામાંની શક્યતાઓ વધી હતી.
NCPની કાંધલ જાડેજાને નોટીસ
NCP પ્રમુખ જયંત બોસ્કીએ કાંધલ જાડેજાને નોટીસ આપી છે. રાજ્યસભાની ચુંટણીમાં ક્રોસ વોટ કરવા બદલ નોટીસ ફટકારી છે. સાત દિવસમાં કાંધલ જાડેજાએ નોટીસનો જવાબ આપવાનો રહેશે. જવાબ યોગ્ય નહીં રહે તો તેની સામે પાર્ટી કાર્યવાહી કરશે.