હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં: અર્જુન મોઢવાડીયા
ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની રાજકારણમાં એન્ટ્રી કરવા મામલે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. ત્યારે હવે નજીકના સમયમાં શંકરસિંહ બાપુના રાજકારણમાં પ્રવેશ કરવા અંગેની અટકળોનો અંત આવશે તેવું દેખાઇ રહ્યું છે. કારણ કે ખુદ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ શંકરસિંહ વાઘેલાને લઇને મોટા સંકેત આપ્યા છે.
તમારી આતુરતાનો જલ્દી અંત આવશે: અર્જુન મોઢવાડીયા
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ બાપુના રાજકારણમાં જોડાવવા અંગે સંકેત આપતા કહ્યું કે, 'તમારી આતુરતાનો જલ્દી અંત આવશે. હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે. પ્રદેશના નેતાઓની પણ એવી લાગણી છે કે બાપુ કોંગ્રેસમાં જોડાય.'
અગાઉ ખુદ બાપુએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં એક્ટિવ થયા છે. અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ આ મુદ્દો શાંત પડી ગયો હતો. આ દરમિયાન એકવાર ફરી શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં ભળી જવાની અટકળો તેજ થઇ છે. અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, 'હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે.' એટલે કે જે-તે સમયે અગાઉ પણ શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાં જોડાવવાના સંકેતો આપ્યા હતા.