ભાવનગરઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે ભાવનગર આવેલા માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગ કરી છે કે ખરેખર યુનિટીની જ જો વાત હોય તો દેશની આઝાદીના સમયે પહેલું રજવાડું સમર્પિત કરનાર ભાવનગર સ્ટેટ સહિત અન્ય ૫૬૨ રાજ્યનાં સિમ્બોલ તથા તેના શિલાલેખ પણ આ સ્થળે જ મુકાવવા જોઈએ. જો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ પ્રથમ રજવાડું ન સોપ્યું હોત તો ભારત અખંડ ભારત ન બન્યું હોત.
ભાવનગરના રાજવીએ પોતાનું સમગ્ર રાજ્ય ધન દોલત...
ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીએ આઝાદી બાદ ૧૫ ફેબ્રુઅરી ૧૯૪૮માં પોતાનું રાજ્ય ભાવનગરને સૌ પ્રથમ દેશની એકતા અને અખંડીતતા માટે સરદાર વલ્લભભાઈને સોપ્યું હતું. આ ઘટના ઈતિહાસમાં પણ સુવર્ણ અક્ષરે લખાયેલ છે. આઝાદી પહેલા દેશના ૫૬૨ રજવાડા હતા. જેમાં સૌથી વધુ ૨૨૨ રજવાડા સૌરાષ્ટ્રમાં હતા. પરંતુ ભાવનગરના પ્રજા વત્સલ રાજવીએ પોતાનું સમગ્ર રાજ્ય ધન દોલત અને જમીન સાથે દેશને સમર્પિત કર્યું હતું.
શંકરસિંહ વાઘેલા એ માંગ કરી...
આગામી ૩૧ ઓકટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉચી પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. લોકાર્પણ થાય તે પહેલા જ સરકાર પાસે અનેક માંગણીઓ ઉભી થવા પામી છે. આજે ભાવનગર આવેલ શંકરસિંહ વાઘેલા એ માંગ કરી છે કે ખરેખર યુનિટી જ જો વાત હોય તો દેશની આઝાદીના સમયે પહેલું રજવાડું સમર્પિત કરનાર ભાવનગર સ્ટેટ સહીત અન્ય ૫૬૨ રાજ્યનાં સિમ્બોલ તથા તેના શિલાલેખ પણ આ સ્થળે જ મુકાવવા જોઈએ.
જે સ્થળે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યાં તેની આસપાસના ૧૫ જેટલાગામો અછતગ્રસ્ત છે. આ ગામનાં લોકો ભૂખ હડતાલ કરીને વિરોધ પ્રદર્શિત કરવાના છે. ત્યારે આજે ભાવનગર આવેલ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા બનાવો કે મેક ઇન ચાઈના બનાવો પરંતુ સ્થાનિક લોકો દુખીના થાય તે સરકારે જોવું જોઈએ. તેમને એમ પણ કહ્યું કે જો સરદાર જીવતા હોત તો તે એમ કહેત કે મારા ગરીબ પરિવારોનો પ્રશ્ન પહેલા સોલ્વ થવો જોઈએ.
ભાવનગરનાં રાજવીઓની ઉદારતાને કારણે દેશના રજવાડાઓનું વિલીનીકરણ થયું છે. ત્યારે ભાવનગરના રાજવીઓના નામે પણ આવું કંઇક લોકોની કાયમી યાદગીરી રહે તેવું થવું જોઈએ તેમ ભાવેણાવાસીઓ ઈચ્છી રહ્યા છે.