ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ત્યારે હવે નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. તેવામાં કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી બાદ 79 વર્ષના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જોકે કેટલાક દિવસોની સારવાર બાદ શંકરસિંહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ એનસીપીમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા હતા. તેમને કોઇ મોટા લક્ષણ નહી હોવાનાં કારણે તેમને હોમ આઇસોલેટ થવા માટેની આરોગ્ય તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી હતી. જોકે તેમની તબિયત લથડતા તેમને અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે તેમણે કોરોનાને મ્હાત આપી છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.
આજે હૉસ્પિટલમાંથી બાપુને તાળીઓ વગાડીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જાહેર જીવનના ચેમ્પિયન એવા બાપુએ કોરોનાને લઇને કહ્યું હતું કે, આઠ દિવસ દરમિયાન તમામ તબીબોએ મને સારી ટ્રીટમેન્ટ આપી. હું અહીંયા આવ્યો ત્યારે સ્થિતિ ખરાબ હતી અને હવે જઈ રહ્યો છું ત્યારે એકદમ સ્વસ્થ છું. મારા ડૉક્ટરોએ સારી સારવાર કરી છે. જે લોકો અહીં દુઃખી થઈને આવે સાજા થઈને જાય એવી પ્રાર્થના કરીશ. હું છેલ્લા બે-ત્રણ મહિના દરમિયાન લોક સંપર્કમાં હતો અને ખુબ ફર્યો છું. હું ઑવર કૉન્ફિડન્સમાં હતો કે મને કોરોના રૂટિન છે, હું સિવિલમાં ગયો, ભરૂચમાં એક અકસ્માતે મૃત્યુ પામેલા લોકો વચ્ચે હતો. આ તમામ મુલાકાતોમાં ક્યાંક કોઈ જગ્યાએ મને કોરોના ચોંટ્યો હશે.
I feel overwhelmed to all the well wishers who prayed for my health. Your prayers supported my recovery. With this I will continue being supportive to people of Gujarat by strengthening their voice. Bapu is Back. pic.twitter.com/Q66V5f9ico
— Shankersinh Vaghela (@ShankersinhBapu) July 6, 2020
PM નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાના ખબર અંતર પૂછ્યા હતા
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. મહત્વનું છે કે, ડિસ્ચાર્જ થયા બાદ શંકરસિંહે કહ્યું કે, પ્રધાનમંત્રીનો ફોન આવ્યો હતો, મને તેમણે ફોન કરી ખબર અંતર પૂછ્યા તે બદલ તેમનો આભાર. તો મુખ્યમંત્રી, નીતિનભાઇ પટેલ, ડૉક્ટરો અને સમગ્ર ગુજરાતનો આભાર.